વડોદરાની એમ એસ યુનિવર્સીટી હંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે.એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સાથે જ યુનિવર્સીટીની આંતરિક સુરક્ષામાં ગંભીર ચુક સામે આવી છે.
સમગ્ર સ્કેમ વિગતે જોઇએ તો યુનિવર્સિટીમાં પેપર ચકાસણીની કામગીરી સમયે હંગામી પટાવાળાઓ ચિરાગ ગંગારામ, અંકિત કણસે, અશ્વિન કુંવર સિંહ પેપર ચકાસણીની કામગીરી બાદ બંડલમાંથી પેપર કાઢીને બહાર લઇ જતા હતા અને રાત્રે પુરવણી વિદ્યાર્થીઓને આપીને તેમાં બાકીના જવાબ લખાવવામાં આવતા હતા. ત્યાર બાદ શર્ટમાં પુરવણી ગડી વાળીને ફરીથી એસેસમેન્ટ સેલમાં મુકી દેતા હતા.
એમ એસ યુનિવર્સીટીના સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગના હંગામી પટાવાળા અંકિત ફનસે, ચિરાગ વડદરા અને અશ્વિન કુવર સિંહને યુનિવર્સીટીના સુરક્ષાકર્મીઓએ આર્ટસ ફેકલ્ટીની ઉત્તરવહીઓ બહાર મોકલતા રંગેહાથ ઝડપી પાડયા.પટાવાળા ખાલી ઉત્તરવહીઓ વિધાર્થીઓને મોકલતા જે ઉત્તરવહીને વિધાર્થી ભરી પાછા પટાવાળાને આપી દેતા.ત્યારબાદ પટાવાળા ઉત્તરવહીઓ બંડલમાં મુકી તેમને તપાસવા મોકલી આપતા હતા.
પટાવાળાના હાથમાં આ ઉત્તરવહીઓ કેવી રીતે આવતી હતી એ પણ મોટો સવાલ છે.
યુનિવર્સીટી સત્તાધીશોએ ત્રણેય પટાવાળાની 5 કલાક પૂછપરછ કરતા ત્રણેય પટાવાળાએ ગુનો કબુલ્યો છે. પટાવાળાઓએ 21 વિધાર્થીઓના નામ આપ્યા છે જેમની પણ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. ત્યારબાદ યુનિવર્સીટીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરે સમગ્ર મામલાને ગંભીર ગણાવી તપાસ કમીટી નીમી તપાસના આદેશ આપ્યા છે સાથે જ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવાયેલા વિધાર્થીઓના પરિણામ અટકાવી દેવાના આદેશ આપ્યા છે.
યુનિના ઈતિહાસમાં પ્રથમવાર ઘટના બની છે. યુનિએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે સાથે જ સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગમાં હગામી કર્મચારી હટાવી કાયમી કર્મચારીની નિમણૂકના આદેશ કર્યા છે. તપાસ બાદ કોઈને છોડવામાં નહી આવે.
ત્રણેય પટાવાળાઓ માત્ર 900 રૂપિયામાં વિધાર્થીઓને ખાલી ઉત્તરવહીઓ આપતા હતા.મહત્વની વાત છે કે, આર્ટસ ફેકલ્ટીમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવતા યુનિવર્સીટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીના કો-ઓર્ડિનેટર્સની બેઠક બોલાવી.સાથે જ આર્ટસ ફેકલ્ટીમાં ચીફ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરી. યુનિવર્સીટીના રજિસ્ટ્રારે કહ્યું કે સમગ્ર મામલામાં હજી કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ યુનિવર્સીટી કરી રહી છે.
એમ એસ યુનિવર્સીટીના મસ્તમોટા ઉત્તરવહી કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે સાથે જ એક રાજકીય પક્ષના વિધાર્થી પાંખના નેતાઓ પણ સામેલ હોવાની ચર્ચા છે.ત્યારે જો પોલીસ સમગ્ર મામલે તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તો ચોકકસથી મોટા ખુલાસા થઈ શકે છે.