રાજ્યમાં ગરમીએ માંઝા મુકી છે. ત્યારે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો થવાની આગાહી આપી છે. આવતા 24 કલાકમાં ગુજરાતનાં ઘણા શહેરોમાં વાવઝોડું થવાની પૂરી સંભાવનાઓ હવામાન વિભાગે આપી છે. આ વાવઝોડાનાં કારણે સામાન્ય વરસાદ થવાની પણ શક્યતાઓ વર્તાઇ રહી છે.
રાજ્યમાં બનાસકાંઠા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં ઝડપી પવનો ફૂકાશે. સાથે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ વરસાદનાં કારણે આગામી 5 દિવસોમાં ગરમીમાં મહદ અંશે ઘટાડો થઇ શકે છે. રાજકોટ હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.
આ સાથે માર્કેટ યાર્ડે એક સરક્યુલર બહાર પાડ્યુ છે જેમાં ખેડૂતોને માલમિલકતની તકેદારી રાખવા જણાવ્યું છે. રાજ્યનાં હવામાન ખાતા તરફથી ગુજરાત રાજ્યમાં તાં. 10, 11 અને 12 મે 2019નાં દિવસો દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે જેથી આ ત્રણ દિવસો દરમિયાન પોતાના માલ મિલકતની તકેદારી રાખવા સલાહ આપવામાં આવે છે.
તદ્ઉપરાંત વર્ષાઋતુનાં આગોતરા આયોજન માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આપત્તિ વ્યવસ્થાપનનાં સંદર્ભમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કોમ્યુનિકેશન પ્લાન અદ્યતન કરવા, ચોમાસાની સંભવિત આપત્તિને પહોંચી વળવા તૈયારી, પ્રિ-મોનસુન કામગીરી સહિતની બાબતો અંગે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવશે. જિલ્લા કલેકટર, અધિક કલેક્ટર, મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગનાં અધિકારીઓ અને પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા.