નાગરિકતા સુધારો અધિનિયમ સંદર્ભે દેશભરનાં ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી મહિલાઓ દિલ્હીનાં શાહીન બાગમાં આ કાયદાનાં વિરોધમાં ધરણા પર બેઠા છે. મુંબઈમાં પણ આ કાયદાની વિરુદ્ધ બોલિવૂડની અનેક હસ્તીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે. જોકે, નાગરિકતા સુધારો કાયદાનાં સમર્થનમાં પણ લોકો સામે આવી રહ્યા છે. CAA નાં સમર્થનમાં પ્રખ્યાત રેસલર દિલીપસિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી સામે આવ્યા છે. જેણે નાગરિકતા સુધારો કાયદાને સમર્થન આપતા એક મોટું નિવેદન આપ્યું છે.
હિમાચલ પ્રદેશનાં કાંગડા પહોંચેલા ધ ગ્રેટ ખલીએ કહ્યું કે, ‘હું સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનો સંપૂર્ણ સમર્થન કરું છું. આપણા દેશની અંદર પહેલેથી જ ભૂખમરો અને બેરોજગારી છે અને આવી સ્થિતિમાં જો બહારનાં દેશોનાં લોકો ગેરકાયદેસર રીતે આપણા દેશમાં રહે છે અને ઘુસણખોરી કરે છે, તો તે આપણને મુશ્કેલીમાં મુકશે.
આ લોકોનાં કારણે દેશમાં ગુનાખોરી વધશે. હિન્દુસ્તાન આપણા પોતાના લોકો માટે છે અને પડોશી દેશોમાં અત્યાચાર ગુજારનારા લઘુમતીઓ માટે, આ કાયદો બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓનું શું થાય છે તે આખી દુનિયા જાણે છે.
ખલીએ નાગરિકતા સુધારો અધિનિયમ પર આગળ કહ્યું કે, ‘જો આ કાયદા દ્વારા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં સતાવેલા લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ મળે તો કેટલી સારી વાત થશે. હા, પરંતુ જો પાકિસ્તાન કે બાંગ્લાદેશમાંથી કોઈ અહીં આવે છે અને અહીં 15 બાળકો પેદા કરે છે અને આતંકવાદ ફેલાવે છે, તો તે આપણા દેશ હિન્દુસ્તાન માટે સારું નથી. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો, જેમાં પશ્ચિમ બંગાળ અને કેરળની સરકારો પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે.
આ કાયદા અંગે મોટા પાયે વિરોધ શરૂ થયો હતો જ્યારે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટી અને યુપીની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ નાગરિકતા સુધારા કાયદાનાં વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. આ બંને યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થયા બાદ દેશનાં જુદા જુદા રાજ્યોનાં લોકો આ કાયદા સામે રસ્તાઓ પર ઉતર્યા હતા. નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ દિલ્હી, યુપી અને કર્ણાટકમાં હિંસક વિરોધ જોવા મળ્યો, જેમાં ઘણા લોકોનાં મોત પણ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.