પેગાસસ સ્પાયવેર દ્વારા અનેક ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓના ફોન હેક થયા હોવાના અહેવાલો વચ્ચે ઇઝરાઇલની કંપની એનએસઓ ગ્રૂપે આ આરોપોને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે તે માનહાનિનો દાવો ભરવાનો વિચાર કરી રહી છે.
કંપનીએ કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ગેરસમજો અને અપ્રમાણિત સિદ્ધાંત પર આધારિત છે જે તેના સ્રોતની વિશ્વસનીયતા અને હિતો વિશે ગંભીર શંકાઓ ઉભા કરે છે. એવું લાગે છે કે અજાણ્યા સ્રોતોએ માહિતી આપી છે જેનો કોઈ તથ્ય આધાર નથી અને જે સત્યથી દૂર છે.
ઇઝરાયલની કંપનીએ કહ્યું છે કે અહેવાલમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણ ખોટા અને પાયાવિહોણા છે. એનએસઓ માનહાનિનો દાવો ભરવાનો વિચાર કરી રહી છે. કંપનીએ રિપોર્ટમાં કરેલા દાવાને ખોટો અને હાસ્યાસ્પદ પણ ગણાવ્યો છે કે આ ડેટા તેના સર્વરથી લીક થયો છે.
એનએસઓ કહે છે કે તેના સર્વર પર આવા ડેટા ક્યારેય અસ્તિત્વમાં નથી. કંપનીએ કહ્યું કે તે આ ટેકનીકનું વેચાણ ફક્ત સરકારી એજન્સીઓને કરે છે જેનો ઉદ્દેશ ગુના અને આતંકવાદી ઘટનાઓને અટકાવીને જીવ બચાવવાનો છે. કંપનીએ કહ્યું છે કે તે ન તો કોઈ સિસ્ટમ ચલાવે છે અને ન ડેટાની દેખરેખ રાખે છે.