જોહાનિસબર્ગ.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ આવતીકાલથી જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ખાતે રમાશે. ત્રણ ટેસ્ટની સીરીઝમાં ભારતીય ટીમ પહેલેથી જ ૨-૦ થી પાછળ છે અને શ્રેણી ગુમાવી ચૂકી છે ત્યારે ભારત અંતિમ ટેસ્ટ મેચમાં જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે. જયારે પહેલેથી જ સીરીઝ પોતાના નામે કરી ચુકેલી આફ્રિકન ટીમ આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરવા મેદાને ઉતરશે.
પહેલીથી જ ટેસ્ટ સીરીઝ ગુમાવી ચુકેલી ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અજીન્ક્ય રહાણે તેમજ વિકેટકીપર દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, આગાઉ રમાયેલી બે ટેસ્ટ મેચમાં ભારતનો શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ અનેક સવાલો ભારતીય ટીમના પ્રદર્શન સામે ઉભા થયા હતા.