ભારતીય વાયુસેનાનું MI17 હેલિકોપ્ટર તકનીકી ખરાબીના કારણે ક્રેશ થયું છે. અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમાથી ૧૨ કિમી દુર તવાંગ પાસે આ ઘટના બની હતી. આ દુર્ઘટના ૬ જવાનોના મૃત્યુ થયા છે જયારે એક જવાન ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયો છે.
વાયુસેના દ્વારા રાહત કાર્ય માટે એક ટીમ પણ ઘટના સ્થળે રવાના કરી છે. આ હેલિકોપ્ટર આર્મી માટે એર મેન્ટેનન્સનો સામાન લઈને જઈ રહ્યું હતું ત્યારે સવારે ૬ વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઉલ્લેખનિય છે કે, બે દિવસ બાદ ૮ ઓક્ટોબરના રોજ વાયુસેનાનો સ્થાપના દિવસ છે.
એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ ગુરુવારે જ ટ્રેનિગ દરમિયાન થતાં અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એર ચીફ માર્શલે કહ્યું હતું કે, “યુદ્ધ નથી ચાલતું છતાં જવાનોના મોત થઈ રહ્યાં છે જે ઘણી જ ચિંતાજનક વાત છે.”