નવી દિલ્હી: મોટા કરજના બોજ હેઠળ દબાયેલી વિમાની કંપની Air India ને ખોટના ખાડામાંથી બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરકારી વિમાની કંપનીના વિનિવેશના રોકાણો હોવા છતાં તેને કોઈ ખરીદદાર મળતું નથી. જેના કારણે કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય ખુદ મદદની તૈયારીમાં લાગી ગયું છે.
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય દ્વારા બે અલગ-અલગ રીતે એર ઈન્ડિયાની મદદ કરવા માટેની યોજના બનાવી છે. જેના અંતર્ગત નાણાં મંત્રાલય તાત્કાલિક અસરથી આ સરકારી વિમાની કંપનીને બે હજાર કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી આપવા તૈયાર થઈ ગઈ છે. તેનો મતલબ છે કે બેન્ક આ રકમ એર ઈન્ડિયાને આપશે અને કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય તેની ગેરંટી લેશે.
આ ઉપરાંત સરકારી વિમાની કંપનીના કરજનો મોટો હિસ્સો સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. તેની સાથોસાથ કરજની જવાબદારી ઓછી કરવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ યોજના હેઠળ મળનારી 2000 કરોડ રૂપિયાની બેન્ક ગેરંટીનો ઉપયોગ આ વિમાની કંપનીના રોજના ખર્ચમાં થશે.
આ અગાઉ પણ સરકારે એર ઈન્ડિયામાં વિનિવેશની કોશિશ કરી હતી પરંતુ કંપની ઉપર 54 હજાર કરોડ રૂપિયાથી વધુનું કરજ હોવાને કારણે કોઈએ રસ દાખવ્યો નહોતો. વર્ષ 2007માં ઈન્ડિયન એરલાઈન્સના વિલય બાદથી એર ઈન્ડિયા ખોટમાં છે.
નાણા મંત્રાલયે આ સરકારી વિમાની કંપનીની સ્થાયી મદદ કરવાની પણ રણનીતિ બનાવી છે. જેના અંતર્ગત આ સપ્તાહે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ રણનીતિ અંતર્ગત બે પ્રકારની યોજના બનાવવામાં આવી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.