દિલ્હી મહિલા આયોગ (DCW) ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની તબિયત લથડી છે. તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બળાત્કારના આરોપીઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે તેઓ છેલ્લા 13 દિવસથી ભૂખ હડતાલ પર છે.
ભૂખ હડતાલને કારણે સ્વાતિ માલીવાલે વજન ઘટી ગયું છે. સ્વાતિ માલીવાલ એટલા કમજોર થઇ ગયા છે કે તેઓ વાત પણ નથી કરી શકતા. રવિવારે સવારે તે બેહોશ થઈ ગયા હતા, ત્યારબાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આબ્યા હતા.
માલીવાલે વડાપ્રધાનને પત્ર લખી દિશા કાયદો દેશમાં લાગુ કરવાની કરી છે માંગ
આ અગાઉ દેશભરમાં બળાત્કારની વધતી ઘટનાઓનો વિરોધ રાજઘાટ ખાતે ભૂખ હડતાલ પર બેઠેલી સ્વાતિ માલીવાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. માલીવાલે વડાપ્રધાન પાસે માંગ કરી છે કે દિશા કાયદો તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ કરવામાં આવે.
આંધ્રપ્રદેશ સરકારે જાતીય ગુનાઓ અને એસિડ એટેકના કેસોની સુનાવણી માટે રાજ્યમાં દિશા એક્ટ લાગુ કર્યો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલનું કહેવું છે કે ઉપવાસ પર બેસતા પહેલા પણ તેમણે ચોક્કસ માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે પત્ર લખ્યો હતો પરંતુ અફસોસ છે કે વડાપ્રધાને તેનો જવાબ આપ્યો નથી.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે આંધ્રપ્રદેશ સરકારે આ દિશામાં જે પગલાં લીધાં છે તે આશાવાદી છે. શુક્રવારે આંધ્રપ્રદેશ વિધાનસભામાં દિશા બિલ પસાર કરવામાં આવ્યું હતું. માલીવાલે કહ્યું કે આ કાયદો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
માલીવાલે જાતીય અપરાધ અને એસિડ એટેકના ગુનામાં મહત્તમ સજાની જોગવાઈ માટે ભારતીય દંડ સંહિતા અને પોકસો કાયદામાં સુધારો કરવાની માંગ કરી છે. આ કેસોમાં પોલીસ તપાસ સાત દિવસમાં પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.જ્યારે ન્યાયિક સુનાવણી 14 દિવસમાં પૂર્ણ થવી જોઈએ.
માલીવાલે પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે તમામ અપીલ અને સુધારા અરજીઓનો નિકાલ 3 મહિનામાં થવો જોઈએ. બળાત્કાર, છેડતી અને એસિડ એટેકના ગુનાઓ સાથે જોડાયેલા કેસોની સુનાવણી માટે પ્રત્યેક જિલ્લામાં વિશેષ સત્ર અદાલત (ફાસ્ટ ટ્રેક કોર્ટ) બનાવવી જોઈએ.
આંધ્રપ્રદેશ સરકારે થોડા દિવસમાં આ કાયદો લાગુ કર્યો. આનો અમલ કેન્દ્ર સરકારે દેશભરમાં કરવો જોઈએ. છેલ્લા 12 દિવસમાં માલીવાલનું વજન આઠ કિલોગ્રામ ઘટ્યું છે. આત્યંતિક શારીરિક વેદના છતાં પણ માલીવાલે પોતાના પત્રમાં ચેતવણી આપી હતી કે જ્યાં સુધી દિશા કાયદો લાગુ ન થાય ત્યાં સુધી ઉપવાસ તોડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.