દિલ્હી: દેશના ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને આસામમાં પણ ધરતીકંપ આંચકાઓ નોંધાયા હતા.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં બુધવારે સવારે ઓછી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે વહેલી સવારે 5.15 કલાકે 4.6 ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જયારે બીજી તરફ હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ઝજ્જરમાં હોવાની માહિતી મળી રહી છે. અહીં સવારે 5.43 કલાકે 3.1ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં પણ સતત બે દિવસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું એપી સેન્ટર મેરઠ અને હરિયાણા બોર્ડરની આસપાસ હતું.
આ ઉપરાંત ભૂટાનના થિમ્પુમાં 5.4ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની સાથે સાથે દેશના પટના સહિત બિહારના કેટલાક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસામમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, સદનસીબે આ ભૂકંપના આંચકાઓની ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી.
સોમવારે પણ ઝજ્જર અને દિલ્હીમાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા
હરિયાણના ઝજ્જર જિલ્લામાં સોમવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. આના 24 કલાક પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના જણાવ્યા પ્રમાણે સોવારે સવારે 6 વાગ્યાને 28 મિનિટ પર ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા 3.7 રિક્ટર સ્કેલની નોંધવામાં આવી હતી. જેનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપના આંચકા રાજધાની દિલ્હીમાં અનુભવાયા હતા. આજ વિસ્તારમાં રવિવારે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપીય ઝોન ચારમાં આવે છે દિલ્હી અને આસપાસના વિસ્તારો
એનસીએસના ડાયરેક્ટર વિનીત કુમાર ગહેલોતના જણાવ્યા પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો ભૂકંપીય ઝોન ચારમાં આવે છે. તેમણે જણાવ્યું કે, આજ કારણ છે કે, રોહતક, ઝજ્જર, સોહના, પાનીપતમાં નાના અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવે છે. અને જેની અસર દિલ્હી સુધી અનુભવાય છે. દેશમાં હિમાલય વિસ્તાર, પૂર્વોત્તર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહ દેશમાં ભૂકંપીય ઝોન પાંચમાં આવે છે.