શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu kashmir) માં આતંકીઓ દ્વારા વધુ એક જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહૃત જવાનના પરિવારનો દાવો છે કે ગઇકાલે રાતે કાશ્મીરના ત્રાલમાંથી આતંકીઓ તેને ઉઠાવીને લઇ ગયા હતાં. જો કે, હજી સુધી આ જવાનની કોઇ ખબર મળી નથી. આ અપહૃત જવાનનું નામ મુદાસિર એહમદ છે. આ જવાન અવંતિપુરાના રાશિપુરામાં ફરજ બજાવતો હતો.
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, જવાન મુદાસિર એહમદના અપહરણના સમાચાર સાચા છે અને આ અમે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા સુરક્ષાદળોના જવાનોનું અપહરણ કરીને તેની હત્યા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલ નિવાસી મુદાસિર એહમદના અપહરણની ઘટના સામે આવી છે. આ જવાન રાશિપુરા ચોકીમાં રસોઈ બનાવવાનું કામ કરતો હતો.
ગત રાતે આતંકીઓ દ્વારા મુદાસિર એહમદનું ત્રાલ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરાયેલા જવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કાલ રાતથી મુદાસિર એહમદની કોઇ ખબર મળી રહી નથી. આ અગાઉ પણ આતંકીઓ દ્વારા શોપિયાથી પોલીસ કર્મી જાવેદ એહમદ ડારનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ પછી જાવેદ એહમદ ડારનો મૃતદેહ કુલગામમાંથી મળ્યો હતો. જાવેદ એહમદ ડારની હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દિને લીધી હતી.
આ ઉપરાંત આતંકીવાદીઓએ ગત મહિનામાં સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું અને તેમની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની હતી કે, જ્યારે તે ઇદની રજાઓ માણવા ઘરે જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાંથી જ આતંકવાદીઓ દ્વારા તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ પછી 14 જૂનના રોજ સાંજે તેમનો મૃતદેહ પુલવામા જિલ્લામાંથી મળી આવ્યો હતો.