નવી દિલ્હી: સરકારી અમલદાર હોય કે રાજકારણી હોય તેઓ સરકારી આવાસને ખાલી કરવામાં ઢીલ વર્તતા હોય છે. આવા અમલદારો અને રાજકારણીઓને Justice જે. ચેલમેશ્વરે શિખ આપી છે. જસ્ટિસ ચેલમેશ્વર પોતાની નિવૃતિના દિવસે જ વહેલી સવારે સરકારી આવાસ (બંગલો) ખાલી કરી ગયા હતા.
ભારતમાં સરકારી અધિકારીઓ હોય કે રાજકીય પદાધિકારીઓ હોય તેઓને તેમના કાર્યકાળ દરમિયાન સરકારી આવાસ (બંગલો કે મકાન) ની ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આવા સરકારી અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ પોતાની સમય મર્યાદા પૂરી થયા પછી દિવસો કે મહિનાઓ સુધી બંગલા કે આવાસ ખાલી કરતા નથી. થોડા સમય અગાઉ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ દ્વારા તેમને ફાળવેલા સરકારી આવાસો (બંગલો) વર્ષોથી ખાલી કરતા ન હતા. આથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતો જે અંગે કોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ માયાવતી, દિગ્વિજયસિંહ, મુલાયમસિંહ યાદવ, કલ્યાણસિંહ રાજનાથસિંહ સહિતના નેતાઓને નોટિસો ફટકારીને બંગલા ખાલી કરવાનો આદેશ કરવો પડ્યો હતો. આવું જ સરકારી ઉચ્ચ અમલદારોનું હોય છે.
પરંતુ આનાથી તદન વિપરીત એવી ઘટના ગઈકાલે બની હતી. દેશની સુપ્રીમકોર્ટના જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર શુક્રવારે નિવૃત્ત થઈ ગયા છે. શુક્રવાર તેમના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ સેવા નિવૃત થયા બાદ લાંબા સમય સુધી પોતાના સરકારી આવાસને ખાલી કરતા નથી હોતા, પરંતુ આનાથી બિલકુલ ઉલટું જસ્ટિસ જસ્તી ચેલમેશ્વરે પોતાની સેવાકાળના અંતિમ દિવસે વહેલી સવારે પાંચ વાગે જ તેમનો સામાન પોતાના વતન મોકલી આપીને સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.
જસ્ટિસ ચેલમેશ્વરે અગાઉથી નિર્ણય કરી લીધો હતો કે, તેઓ સેવા નિવૃત્તિ બાદ આંધ્રપ્રદેશ પોતાના વતન (ઘરે) પરત જશે. જસ્ટિસ ચેલમેશ્વરે તેમનો 4, તુગલક રોડ પર સ્થિત તેમના સરકારી બંગલામાં ગુરુવારે સાંજે જ તેમના સામાનનું પેકિંગ થઈ ગયું હતું. અને તેમનો સામાન શુક્રવારે વહેલી સવારે પાંચ વાગે દિલ્હીથી આંધ્રપ્રદેશ મોકલી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ છ વર્ષ અગાઉ આ બંગલામાં રહેવા આવ્યા હતા.