કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં જ કહ્યું છે કે સરકાર થોડા જ સમયમાં ડ્રાઈવીંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવાને અનિવાર્ય કરવાની છે.
પંજાબમાં લવલી યુનિવર્સીટીમાં ૧૦૬મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં તેમણે કહ્યું હતું કે અમે થોડા જ સમયમાં એક નવો કાનૂની નિયમ લાવવાના છીએ જેમાં ડ્રાઈવીંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય થશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે હાલ એવી પરિસ્થતિ થઇ રહી છે કે અકસ્માત કરનાર વ્યક્તિ ઘટનાસ્થળથી ભાગી જાય છે અને ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાઇસન્સ મેળવી લે છે.આ કામ તેને સજાથી બચવામાં મદદ કરે છે. આધારકાર્ડ સાથે ડ્રાઈવીંગ લાઇસન્સ જોડવાથી એક ફાયદો એ થશે કે તમે ભલે તમારું નામ બદલી દો પરંતુ બાયોમેટ્રીક્સ ક્યારેય નહી બદલી શકો. તમે તમારા આંખ અને હાથની આંગળીઓના નિશાન ન બદલી શકો.
કેન્દ્ર સરકારના ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમની પ્રશંસા કરતા કેન્દ્રિય મંત્રીએ દાવો કર્યો હતો કે હવે શહેર અને ગામડા વચ્ચેનો તફાવત ઘણો ઓછો થઇ ગયો છે. પ્રસાદે કહ્યું કે દેશમાં ૧૨૩ કરોડ આધાર કાર્ડ આપવામાં આવ્યા છે , ૧૨૧ કરોડ મોબાઈલ ફોન છે ,૪૪.૬ કરોડ સ્માર્ટ ફોન છે , ઇન્ટરનેટનો ૫૬ કરોડ લોકો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઈ-કોમર્સમાં ૩૧ ટકા વધારો થયો છે. ભારતની વસ્તી ૧૩૦ કરોડ છે. ડીજીટલ ઇન્ડિયાથી દેશને ઘણા લાભ થયા છે.