નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA-એનઆઈએ) દ્વારા હૈદરાબાદ મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં આગળ અપીલ નહિ કરે. ગત તા. ૧૬ એપ્રિલે આવેલા ચુકાદામાં વિશેષ અદાલતે અસીમાનંદને નિર્દોષ છોડી મુક્યા હતા. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ કેસમાં અસીમાનંદને નિર્દોષ છોડી દેવાના મામલે NIA દ્વારા અપીલ કરવામાં નહિ આવે.
૧૧ વર્ષ બાદ એનઆઇએની સ્પેશિયલ કોર્ટે સંભળાવતા તમામ પાંચ આરોપીઓને પુરાવાના અભાવ હોવાથી નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. આ મામલામાં સ્વામી અસીમાનંદને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસ પહેલા અસીમાનંદનું નામ અજમેર દરગાહ બ્લાસ્ટ, સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ અને ૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાવમાં થયેલા બ્લાસ્ટમાં પણ જોડાઈ ચુક્યું છે.
જાણો કોણ છે અસીમાનંદ:
અસીમાનંદને જતીન ચેટરજી ઉર્ફ નબાકુમાર ઉર્ફ સ્વામી ઓંકારનાથના નામ થી પણ ઓળખવામાં આવે છે. તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જીલ્લાના રહેવાસી છે. એમણે બોટની વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
૧૯૯૦ થી ૨૦૦૭ સુધી અસીમાનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા, જ્યાં તેમણે વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારકની જિમ્મેદારી સાંભળી હતી.
૧૯૯૫ આસ-પાસ તેઓ ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા આવ્યા, અહી એમણે હિંદુ ધર્મ જાગરણ અને શુદ્ધિકરણ નું કામ કર્યું હતું.
અસીમાંનંદે આહવામાં શબરી માતા મંદિર અને ધામ બનાવ્યું. એવી ખબરો આવી હતી કે એમણે ૨૦૦૬માં અલ્પસંખ્યક સમુદાયને આતંકિત કરવા માટે કુંભનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અહિયાં સુનિયોજિત બ્લાસ્ટ થયા હતા.
સ્વામી અસીમાનંદની અજમેર, હૈદરાબાદ અને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ મામલાઓમાં ૧૯ નવેમ્બર 2010 ના રોજ હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૧માં એમણે મેજિસ્ટ્રેટ સામે કબુલ કર્યું હતું કે અજમેર દરગાહ, હૈદરાબાદ મક્કા મસ્જીદ અને બીજી ઘણી જગ્યાઓ પર થયેલા વિસ્ફોટોમાં એમનો અને બીજા કટ્ટરપંથીઓનો હાથ હતો. જોકે પછી તેઓ એમની કબુલાતથી ફરી ગયા હતા.
અસીમાનંદને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નજીકના માનવામાં આવે છે. સાધ્વી પ્રજ્ઞાનું નામ પણ માલેગાવ વિસ્ફોટોમાં સામે આવ્યું હતું.
અસીમાનંદ ૧૯૮૮ સુધી એમના ગુરુ સાથે પશ્ચિમ બંગાળના બર્ધવાનમાં રહેતા હતા.