આજે બીજી ઓક્ટોબર એટલે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. આ જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી હોવાથી શાસ્ત્રીજીના વ્યક્તિત્વની સાથોસાથ તેમનો જન્મ દિવસ પડદાની પાછળ રહી જાય છે. દેશને ‘જય જવાન જય કિસાન’નો નારો આપનારા શાસ્ત્રીજીની સમગ્ર જિંદગી સાદગી, પ્રમાણિકતા અને ઈમાનદારીનું ઉદાહરણ હતી. અહી તેમની જિંદગીની કેટલીક જાણીતી વાતો પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
નદીમાં તરીને સ્કૂલ જતાં હતા
આપણા શાસ્ત્રીજી આવા હતા, તેઓના બાળપણમાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આથી તેઓ અભ્યાસ કરવા માટે શાળાએ જતાં સમયે રસ્તામાં નદી આવતી હતી તેને તરીને તેઓ શાળાએ જતાં હતા.
સરકારી કારનો અંગત ઉપયોગ તેમને પસંદ ન હતો
આજકાલના નેતાઓ સરકારી સુવિધાઓનો ઉપયોગ કરવામાં કોઈ કસર નથી છોડતા ત્યારે શાસ્ત્રીજીનો સ્વભાવ આજના નેતાઓથી તદ્દન વિપરીત હતો. શાસ્ત્રીજીને સરકારી કારનો પોતાના અંગત ઉપયોગ કરવો જરા પણ પસંદ ન હતો. પોતાના અંગત કામ માટે તેઓ ક્યારેય સરકારી કાર લઈને જતાં ન હતા. તેમના દીકરાએ એક વખત સરકારી કારનો ઉપયોગ પોતાના કામ માટે કર્યો હતો, જેની જાણ શાસ્ત્રીજીને થઈ હતી. જાણ થતાંની સાથે તેમણે કારના કિલોમીટરના હિસાબ મુજબની રકમ સરકારી તિજોરીમાં તેમણે જમા કરાવી દીધી હતી.
ભેટમાં પત્નીની માટે આપેલી મોંઘી સાડી ન લીધી
આજકાલના નેતાઓ કોઈ ઉદ્યોગપતિ કે માલેતુજાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની મોંઘીદાટ ભેટ આપે છે તો તેને સ્વીકારી લે છે. પરંતુ શાસ્ત્રીજીને આવું બિલકુલ પસંદ ન હતું. એક વખત એક મિલમાલિક શાસ્ત્રીજી પાસે આવ્યા હતા અને તેમણે શાસ્ત્રીજીના પત્નીની ભેટ તરીકે એક મોંઘીદાટ સાડી આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શાસ્ત્રીજીએ સખ્તાઈપૂર્વક તેમની ભેટ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
સરકારી કૂલર ઘરેથી હટાવી દિધું
દેશના બીજા વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીજીના નિવાસ સ્થાન (ઘર) પર સરકારી તંત્ર દ્વારા સરકારી કૂલર લગાવવામાં આવ્યું હતું. પરંતુ શાસ્ત્રીજીએ પોતાની અને પરિવારના સભ્યોની આદત બગડી ન જાય તે માટે તેમણે તાત્કાલિક ધોરણે સરકારી કૂલરને ઘરમાંથી હટાવી દિધું હતું.
ફાટી ગયેલા કુર્તાનો રૂમાલ બનાવતા હતા
શાસ્ત્રીજી એટલું કરકસરપૂર્ણ અને સાદગીભર્યું જીવન જીવતા હતા કે, તેઓ પોતાનાં ફાટી ગયેલા કુર્તાને ફેંકી દેતાં ન હતા. તેઓ આ ફાટી ગયેલા કુર્તાને પત્નીને આપતા હતા અને આ ફાટેલા કુર્તામાંથી પોતાની માટે પત્ની પાસે રૂમાલ બનાવતાં હતા.
દેશમાં દુષ્કાળ સમયે પોતાના પરિવાર પાસે કરાવ્યા ઉપવાસ
શાસ્ત્રીજી વડાપ્રધાન હતા તે સમયે ૧૯૬૫માં દેશમાં ભારે દુષ્કાળ પડ્યો હતો. આ સમયે દેશના નાગરિકોને એક સમય ઉપવાસ કરવાની અપીલ કરતા અગાઉ તેમણે પોતાના પરિવારના લોકોને ઉપવાસ કરાવ્યા હતા. આ પછી શાસ્ત્રીજીએ દેશને એક સમય ભૂખ્યા રહેવા માટેની અપીલ કરી હતી.
રેલ દુર્ઘટના પછી તુરંત રાજીનામું આપી દિધું હતું
શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા અગાઉ તેઓ રેલ મંત્રી હતા. આ સમયે ૧૯૫૬માં તમિલનાડુમાં એક રેલ દુર્ઘટના બની હતી. આ રેલ દુર્ઘટનામાં ૧૪૨ વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ રેલ દુર્ઘટના બાદ શાસ્ત્રીજીએ તાત્કાલિક નૈતિકતાના ધોરણે રેલ મંત્રીના પદ પરથી પોતાનું રાજીનામું આપી દિધું હતું.
આવા હતા વામન કદના વિરાટ વ્યક્તિત્વ ધરાવતા લાલ બહાદુર શાસ્ત્રીજી. આજે તેમના જન્મદિવસે તેમને શત શત વંદન…