દિલ્હી,
મોદી સરકારે સોમવારે ઐતિહાસિક નિર્ણય લીધો અને રાજ્યસભામાં કલમ 370 નાબુદ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો પાછો ખેંચી તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરમાંથી અલગ કરવામાં આવ્યું છે અને નવું કેન્દ્ર શાસિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.
ગૃહમંત્રીએ આ બિલ રજૂ કર્યા પછી, વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. આ સાથે વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
રાજ્યસભામાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવામાં આવ્યું હતું અને તેની પાછળ લાખો લોકો કુરબાન થયા હતા. નબીએ કહ્યું કે, આ કાયદાનો હું કડક શબ્દોમાં વિરોધ કરું છું અને અમે ભારતના બંધારણની રક્ષા માટે જીવ આપી દઈશું પણ અમે એવા કાયદાનો હંમેશા વિરોધ કરીશું જે હિન્દુસ્તાનના બંધારણને જોખમમાં મુકે છે.
જમ્મુ કાશ્મીરમાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, ભારત સરકારનો હેતુ સંપૂર્ણ રીતે સ્વચ્છ અને દ્વેષપૂર્ણ છે. તેઓ ભારતના એકમાત્ર મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા રાજ્યની ભૌગોલિક સ્થિતિને બદલવા માગે છે. મુસ્લિમોને બીજો દરજ્જો આપવા માંગે છે. જેના દ્વારા તેઓ પોતાના રાજ્યમાં બીજા વર્ગના નાગરિક બની રહે. આજનો દિવસ ભારતની લોકશાહી માટેનો કલંકરૂપ દિવસ છે.આર્ટિકલ 370 નાબુદ કરવા માટેનો ભારત સરકારનો નિર્ણય એક તરફી,ગેરકાનુની અને ગેરબંધારણીય છે.આ વિનાશકારી પરિણામ લાવશે.
નેશનલ કોન્ફરન્સના વાઇસ પ્રેસીડન્ટ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારત સરકાર દ્વારા જે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી જમ્મુ-કાશ્મીરની જનતાના વિશ્વાસને ફટકો પડ્યો છે. આ નિર્ણયના દુરોગામી ખરાબ પરિણામો હશે.
એનસીપીના નેતા શરદ પવારે કહ્યું હતું કે સરકારે બીજા પક્ષોને વિશ્વાસમાં લઇને આ નિર્ણય કરવો જોઇતો હતો.
બસપા નેતા સતીષચંદ્રે પણ કાશ્મીરમાં કલમ 370 હટાવવા સૂચિત બિલ અંગે પોતાનો વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે બસપા આ બીલને સમર્થન આપે છે.
તો ત્યાં જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે બિલ રજૂ કર્યા પછી રાજ્યસભામાં કહ્યું કે, ‘આજે જમ્મુ-કાશ્મીર લીધા છે, આવતી કાલે બલુચિસ્તાન લેવાશે. મને વિશ્વાસ છે કે દેશના વડા પ્રધાન સંયુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.