નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે મધ્યરાત્રીથી જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય શાસન લાગુ કરવાના આદેશની જાહેરાત પર હસ્તાક્ષર કરી દીધા છે.
જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના ગઠબંધન તૂટ્યા બાદ 20 જૂન ૨૦૧૮થી રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવવામાં આવે છે. આ દરમિયાન વિધાનસભા નિલંબિત રહે છે અથવા તેને ભંગ કરી દેવામાં આવે છે. જો આ છ મહિનાની અંદર રાજ્યમાં સંવૈધાનિક તંત્ર બહાલ નથી થતું તો રાજ્યપાલ શાસનને આગળ વધારી શકાય છે અથવા તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રાજ્યમાં છ મહિનાથી ચાલતા રાજ્યપાલ શાસનની અવધિ 19 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની સાથેના ગઠબંધનમાંથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધા પછી 20 જૂનથી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. તે સમય સુધી પીડીપીના નેતા મહબૂબા મુફ્તી મુખ્યમંત્રી તરીકે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યાં હતાં. રાજપાલ શાસન દરમિયાન છેલ્લા છ મહિનાથી વિધાનસભાની સત્તાઓ રાજ્યપાલના હાથ આવી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની સાથે હવે આ સત્તાઓ રાજ્યપાલના બદલે સંસદના હાથમાં આવી જશે.