લોકસભાની ચૂંટણી અગાઉ રામ મંદિરનો મુદ્દો બરાબર ઉછળ્યો હતો પરંતુ એ પછી આ મામલે કોઈ બોલતું નહોતું.પરંતુ રામમંદિરના નિર્માણને લઇને સંત સમાજ ફરીવાર એક્શનમાં આવ્યુ છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઇને સંતો આજે મોટી બેઠક કરવાના છે. આ બેઠકમાં સંત સમાજ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.
સોમવારે યોજાનારી આ બેઠકમાં અયોધ્યાના સંત-મહંત સામેલ થશે. તેમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પણ સામેલ થશે. સંત સમિતિના અધ્યક્ષ મહંત કનૈયાદાસ સહિતના ઘણાં સંતો હાજર રહેશે અને આ બેઠકમાં રામમંદિર નિર્માણ પર મહત્વપૂર્ણ ચર્ચા થશે. આ બેઠકની અધ્યક્ષતા રામ જન્મભૂમિ ન્યાયના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ કરી રહ્યા છે.
મણિરામ દાસ છાવણીમાં મળી રહેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં સંત સમાજ હાજર રહેશે..જેમા વીએચપીના નેતા, સંત સમિતિના અધ્યક્ષ મહંત કનૈયા દાસ, રામ જન્મભૂમિ ન્યાયના સભ્ય ડોક્ટર રામવિલાસ વેદાંતી, રંગમહેલના મહંત રામશરણ દાસ, લક્ષ્મણકિલ્લાધીશના મહંત મૈથિલી શરણ દાસ હાજર રહેવાના છે. આ બેઠકમાં રામ મંદિર અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે, દેશમાં ફરીવાર મોદી સરકાર બનતા રામ મંદિર નિર્માણનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે. જેથી આવતી કાલે રામ મંદિર નિર્માણ અંગે સંત સમાજની બેઠક પર સૌ કોઈની નજર રહેલી છે.
બીજી બાજુ ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.