અમદાવાદ: કેરળમાં ચોમાસાએ મે મહિનાના અંતમાં જ આગમન કર્યું હતું. ત્યારથી કેરળમાં વરસાદનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસોમાં વરસાદનો પ્રકોપ વધી ગયો છે. સમગ્ર કેરળ રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. કોઝિકોડ અને કૂન્નૂર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક નવ વર્ષીય બાળકી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે જયારે ૧૦ વ્યક્તિઓ લાપતા બની હોવાનું જણાવાય રહ્યું છે.
કોઝિકોડના કટ્ટીપારામાં ભૂસ્ખલનના લીધે આઠ લોકો ફસાયેલા હોવાનું કહેવાય રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને રાજ્યની રેસ્ક્યૂ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે.
કેરળના સીએમએ મુખ્ય સચિવ અને જિલ્લા કલેકટરોને તાત્કાલિક રાહત બચાવની કામગીરી કરવાના આદેશ છે. આ દરમિયાન કટ્ટીપારાથી પૂરનો એક વીડિઓ સામે આવ્યો છે, જે કોઈ પણ વ્યક્તિના રુંવાડા ઉભા કરી દે તેવો છે.
પૂર્વોત્તરમાં પણ ચોમાસું વરસાદથી બેહાલ
દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદના કારણે ત્રિપુરા આને મિઝોરમના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્રિપુરામાં ઓછામાં ઓછી ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. કેટલાય ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ઘરો અને અનાજના ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે. મોટાભાગની નદીઓનો પ્રવાહ ખતરાના નિશાનની ઉપરથી વહી રહ્યો છે.
ભૂસ્ખલનના કારણે ત્રિપુરા અને મિઝોરમમાં વાહનોની અવરજવર પર ભારે અસર પડી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેવે સૌથી વધુ પ્રભાવિત એવા ઉત્તરી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર અથવા તો રાહત કેમ્પોમાં જતાં રહેવા માટેની અપીલ કરી છે.
ત્રિપુરાના સીએમે કેન્દ્ર પાસે માંગી સહાય
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેવે પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ પાસે મદદ માંગી છે. કેન્દ્ર સરકારને અનુરોધ કરીને તાત્કાલિક સૈન્ય સહાયતા આને બચાવ દળ (રેસ્ક્યૂ ટીમ)ની માંગ કરી છે. આ સાથે જ તેમને રાજ્યમાં રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળને વધારવા માટેનો પણ અનુરોધ કર્યો છે.
ત્રિપુરાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે, ભૂસ્ખલન, વૃક્ષો પડવાથી અથવા પૂરથી ધસમસતી નદીમાં માછલી પકડતા દરમિયાન ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. બુધવારે બપોર સુધીમાં ૧૫૦૦ પરિવારોના ૬૫૦૦ લોકો ૨૦૦ રાહત શિબિરમાં શરણ લેવા માટે પહોંચી ગયા હતા.
ભારે વરસાદના કારણે પવન હંસનું એક હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યું છે અને વાયુસેના પાસેથી પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે વધુ બે હેલિકોપ્ટર પૂરા પાડવા માટેનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
મણિપુરમાં પણ વરસાદ પછી પરિસ્થિતિ નાજુક
મણિપુરમાં પણ રવિવારે રાતથી જ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે પૂરની સંભાવના વધી ગઈ હોવાથી લોકો ભયભીત બની ગયા છે. વરસાદના કરાને સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકશાન પહોંચ્યું છે.
આસામમાં પણ પૂરથી આફત
આસામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બોકાખલ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના મકાનો પાણીમાં ડૂબી ગયા હોવાથી લોકોને ઘરમાં રહેવું અસંભવ બન્યું છે. નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. જેના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવતા તેના લેવલ ઉપરથી વહી રહી છે જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.
લુંમડિંગ-બદરપૂર હિલ સ્ટેશન પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાથી ચાર ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કોઈ પણ ટ્રેનને પસાર થવા દેવાની પરવાનગી આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં રીપેરીંગનું કાર્ય શરૂ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ તટીય કર્ણાટક, કેરલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે તેમ છે. જયારે અરુણાચલ પ્રદેશ, ઓડીસા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દક્ષિણ કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર સંભવિત વિસ્તારોમાંથી પરિવારોને સલામત સ્થળે હટાવી દેવામાં આવ્યા છે. કેટલાય રહેણાકી મકાનો,ઘરો, અનાજના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે.