ગાંધીનગર,
થોડાક દિવસો અગાઉ જ વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા CM પદેથી હટાવવામાં આવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, ત્યારે હવે વધુ એકવાર વિજય રૂપાણીના રાજીનામાં અંગે અનેક અટકળો સામે આવી રહી છે. આ અટકળોને લઇ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજના પોતાના તમામ નિર્ધારિત કાર્યક્રમો અધવચ્ચે છોડીને દિલ્હીમાં હાઈકમાન્ડના દરબારમાં પહોચ્યા છે. આ ઉપરાંત ભાજપના સિનિયર નેતા અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પરબત પટેલ પણ દિલ્હી પહોચ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જો કે આ અચાનક જ પ્રદેશના નેતાઓની દિલ્હીની મુલાકાતને લઇ રાજકારણ અને પાર્ટીના સંગઠનમાં અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યા છે.
દિલ્હી પહોચેલા ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપીને જણાવ્યું છે કે, “રાજ્યના મુખ્યમંત્રી જ વિજય રૂપાણી જ રહેશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા જયારે કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ “સંપર્ક ફોર સમર્થન”ના અભિયાનના ભાગરૂપે જયારે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના પીઢ નેતા શંકરસિંહ વાઘેલા સાથે તેઓના નિવાસસ્થાન સ્થિત વસંત વગડો ખાતે મુલાકાત કરી હતી, ત્યારે પણ આ મુલાકાતન લઇ રાજકારણ ગરમાયું હતું.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળની ફાળવણીને લઇ આ પહેલા પણ સતત અસંતોષ જોવા મળી ચુક્યો છે.