ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં શાસક અને વિપક્ષ બન્નેનું મહત્વ છે. બન્ને સર્વ સંમતિથી ચાલે તો સારી વાત છે પરંતુ બહુમતીના જોરે લેવાતા નિર્ણયો પણ કલ્યાણકારી તો હોવાજ જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિએ બંધારણીય વડા છે. તેમની ચૂંટણી પણ લોકસભા રાજ્ય સભા અને રાજ્યોની વિધાન સભાના સભ્યો કરે છે. ભારતમાં એક કે બે અપવાદને બાદ કરતાં બાકીના તમામ રાષ્ટ્રપતિઓની ચૂંટણી થઈ છે. ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદ સતત ત્રણ વાર રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સિવાય બીજા કોઈ રાષ્ટ્રપતિને બીજીવાર પોતાનો હોદ્દો જાળવવાનો મોકો મળ્યો નથી. મીસાઈલમેન એપીજે અબ્દુલ કલામ અટલજીના શાસન વખતે લગભગ સર્વસંમત જેવી સ્થિતિમાં દેશનાં રાષ્ટ્રપતિ બન્યા હતા. એપીજે કોઈ રાજકીય પક્ષના સભ્ય નહોતા. જ્યારે બાકીના રાષ્ટ્રપતિઓ એક યા બીજા પક્ષ સાથે સંકળાયેલા હતા. આમ તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જે સ્થિતિ છે તે જોતા સત્તાધારી પક્ષ જે વ્યક્તિને નક્કી કરે તે જ રાષ્ટ્રપતિ બને છે. સત્તાધારી પક્ષ જેમ પોતાના વડાપ્રધાન નક્કી કરે છે તેમ રાષ્ટ્રપતિ પણ નક્કી કરે છે.
રાષ્ટ્રપતિ બનનારા મહાનુભાવોને લોકસભા રાજ્યસભા અને રાજ્યની વિધાન સભા એટલે કે લોકસભા + રાજ્યસભાનાં ૭૫૦થી વધુ અને રાજ્યોની વિધાન સભાઓના ૪૦૦૦ સભ્યોમાંથી બહુમતી મતો મેળવવા પડે છે. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર શાસક પક્ષ નહિ પણ ધારાસભ્યો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ તો બેલેટ પેપરથી મતદાન થાય છે જે ગુપ્ત હોય છે આમ છતાં તેમાં ક્રોસ વોટીંગ થતું હોય છે. ઘણીવાર એવું બન્યું છે કે જ્યારે સત્તાધારી પક્ષના ગઠબંધને વિપક્ષનાં મુકેલા ઉમેદવારને મત આપ્યો હોય અને ઘણીવાર એવું પણ બને છે કે, વિપક્ષ સાથે જોડાયેલા ગઠ બંધનના સાથીદાર પક્ષના સભ્યોએ સત્તાધારી પક્ષના ઉમેદવારોને મત આપ્યો હોય.
નજીકનાં ભૂતકાળની વાત કરીએ તો મનમોહનસિંહની પ્રથમ ટર્મ વખતે એટલે કે ૨૦૦૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તે વખતના એન.ડી.એ.ના ઘટક પક્ષ શીવસેનાએ યુપીએ પ્રેરિત ઉમેદવાર શ્રીમતી પ્રતિભા પાટીલને મત આપ્યો હતો જે ભારતના અત્યાર સુધીના મહિલા રાષ્ટ્રપતિ છે. જ્યારે ૨૦૧૨ની ચૂંટણીમાં પણ શીવસેના એનડીએમાં જ હતું અને તેણે કોંગ્રેસે મૂકેલા ઉમેદવાર પ્રણવ મુખરજીની તરફેણમાં મત આપ્યો હતો. ૨૦૧૨ના પ્રારંભમાં એફ.ડી.આઈ.ના મામલે યુપીએનો સાથ છોડનાર પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ ટી.એમ.સી.એ પણ કોંગ્રેસના જ ઉમેદવાર પ્રણવ મુખરજીને મત આપ્યો હતો. જો કે આમા બંગાળી હોવાનો લાભ પ્રણવ મુખરજીને મળ્યો હતો. જ્યારે ૨૦૧૨માં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર બિહારમાં રચાયેલા અને વિજેતા બનેલા જનતા દળ (યુ) રાજદ અને કોંગ્રેસના ગઠબંધનના એક ભાગીદાર હતા છતાં તેમના પક્ષે એન.ડી.એ.નાં ઉમેદવાર રામનાથ કોવિદને પોતાનો મત આપ્યો હતો. તેનું કારણ એવું આપેલું કે રામનાથ કોવિદે બિહારના રાજયપાલ તરીકે સારી કામગીરી કરી હતી. હકિકતમાં નીતિશકુમાર-૨૦૧૬ની ૧૬મી નવેમ્બરે થયેલી નોટ બંધીને આવકારી હતી ત્યારબાદ એન.ડી.એ.ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિદને મત આપી પોતે મહાગઠબંધન સાથેનો પોતાનો છેડો ફાડી રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો.
જો કે આ બધી બાબતો યોગ્ય રાષ્ટ્રપતિપદની અત્યાર સુધીની ચૂંટણીઓમાં સૌથી યાદગાર ચૂંટણી બની હોય તો તે ૧૯૬૯માં યોજાયેલી ચૂંટણી હતી. આ ચૂંટણી વખતે વડાપ્રધાનપદે શ્રીમતી ઈંદિરા ગાંધી હતા. ૧૯૬૭ની ચૂંટણીમાં પાંખી બહુમતીથી ચૂંટાયેલી કોંગ્રેસની સરકારના વડાપ્રધાન પદ પણ ઈંદિરા ગાંધીએ ચૂંટણી લડીને મેળવ્યું હતું. આ જુદો ઈતિહાસ છે. ૧૯૬૯ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નીલમ સંજીવ રેડ્ડીની પસંદગી કરી. પહેલા તો શ્રીમતી ઈંદિરા ગાંધી પણ તેમની સાથે હતા. જ્યારે ઉમેદવાર તરીકે અગાઉ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા વરાહગીરી વ્યંકટ એટલે કે વી.વી. ગીરી મેદાનમાં ઉતર્યા હતા. તેઓ તો તે વખતનાં વિપક્ષી આગેવાનોના ટેકા સાથે મેદાનમાં હતા. ચૂંટણી આગળ વધી અને વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ કોંગ્રેસનાં સાંસદો અને ધારાસભ્યોને અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરવા અપીલ કરી. પ્રયાસ આડકતરો હતો પણ ઈશારો સ્પષ્ટ હતો કે, મોરારજીભાઈ દેસાઈ કામરાજ અતુલ્ય ઘોષ, પાટીલ, એસ.નીજલીંગપ્પા સહિતના સીંડીકેટના નામે ઓળખાતા કોંગ્રેસનાં મોવડીઓએ પસંદ કરેલા ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને હરાવવાનો હતો. તે વખતે કોંગ્રેસના અધ્યક્ષ પદે એસ. નીજબીંગપ્પા હતા. આ ચૂંટણીમાં મતદાન થયું. મતગણતરીના અંતે ડાબેરી અને અન્ય કેટલાક વિપક્ષોનાં ટેકાથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા વી.વી.ગીરી જીત્યા કારણ કે કોંગ્રેસના મોટા ભાગના સાંસદોએ વી.વી.ગીરીને મત આપ્યો હતો તેમાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીજી અંતરાત્માના અવાજ મુજબની અપીલ કામ કરી ગઈ હતી. આ ઘટના ક્રમ પછી કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ એસ.નીજલીંગપ્પાએ ઈંદિરા ગાંધીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા તો સામે પક્ષે ઈંદિરાજીના ટેકેદાર કોંગ્રેસી આગેવાનોએ એસ.નીજલીંગપ્પાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા અને રાજકીય ભાષામાં કહીએ તો કોંગ્રેસનું પ્રથમ વિભાજન થયું એસ નીજલીંગપ્પા અને મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળની કોંગ્રેસ એ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાતી હતી તો ઈંદિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ શાસક કોંગ્રેસ તરીકે ઓળખાઈ હતી. આમ દેશનાં સૌથી મોટા પક્ષ કોંગ્રેસનાં વિભાજનનું કારણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી બની હતી.
૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી સમયે ગુજરાતમાં આઠ જેટલા કોંગ્રેસી ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરીને એન.ડી.એ.નાં ઉમેદવારને મત આપ્યો હતો તે વાત પણ આ તબક્કે યાદ કરી લઈએ.