શીના બોરા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલી ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે. વકીલ સના ખાને કહ્યું કે તે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. વર્ષ 2015માં ધરપકડ કરાયેલ ઈન્દ્રાણી મુખર્જીને હજુ સુધી જામીન મળ્યા નથી.ગત વર્ષે ઓગસ્ટમાં પણ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ઈન્દ્રાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જામીન પર છૂટ્યા બાદ આરોપી ફરિયાદ પક્ષના સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ન્યાયાધીશે તે સમયે કહ્યું હતું કે, “એમાં કોઈ શંકા નથી કે આરોપી પ્રભાવશાળી અને શ્રીમંત વ્યક્તિ છે. આથી, ફરિયાદ પક્ષના સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાતી નથી.મેડિકલ આધાર પર ઘણી વખત જામીન મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, મુખર્જીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કેસના “ગુણવત્તા ” પર જામીન મેળવવા માટે બીજી અરજી દાખલ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, સીબીઆઈએ શીના બોરા હત્યા કેસમાં તેની તપાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. શીનાની માતા અને પૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઈન્દ્રાણી મુખર્જી આ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહી છે. સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ મુંબઈની વિશેષ અદાલતને કહ્યું છે કે 2012ની હત્યા અંગે તેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે.
સીબીઆઈએ આ કેસમાં ત્રણ ચાર્જશીટ અને બે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર મુખર્જીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. ઈન્દ્રાણીની 2015માં 25 વર્ષની શીના બોરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શીના તેના પહેલા લગ્નથી ઈન્દ્રાણીની પુત્રી હતી.