શુક્રવારના રોજ ઇન્ડોનેશિયાના સુલેવાસીમાં 6.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ લોકોએ ઘરની બહાર નીકળીને ભાગદોડ કરી હતી. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ સુલવેસી દ્વીપના પૂર્વીયતટ પર જમીનથી 17 કિલોમીટરના ઉંડાણ પર સ્થિત હતું. જણાવી દઇએ કે ગત વર્ષે પાલૂ શહેરમાં આવેલા 7.5ની તીવ્રતાના ભૂકંપને કારણે 4300 લોકોનો મૃત્યુ થયા હતા.
ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ મોરોવેલી જિલ્લામાં તટીય વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરી છે જો કે કોઇ નુકસાન કે જાનહાનીની ખબર નથી મળી. જો કે યુએસજીએસે નબળા બાંધકામ ધરાવતી ઇમારતોને નુકસાન થવાની ભીતિ દર્શાવી છે.
આપત્તિ પ્રબંધન વિભાગે સુનામીની ચેતવણી બાદ સાવચેતીના પગલા તરીકે સુલેવાસી પ્રાંતના મોરોવલીમાં લોકોને ઘરોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. અહીંયા સુનામીની આશંકાને કારણે સમુદ્રી લહેરોનું સતત પરીક્ષણ કરાઇ રહ્યું છે. જો કે અત્યારસુધી કોઇ નુકસાનના સમાચાર નથી.
આ ભૂકંપની તીવ્રતાને કારણે સુનામી આવવાની પૂરી શક્યતા હોવાથી સુલાવેસીના રહેવાસીઓને ત્વરિત રીતે ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થાન પર ખસવાની ચેતવણી અપાઇ છે તેવું સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું.