મુકેશ અંબાણીના એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયાના કેસમાં હવે ભાજપ અને શિવસેના આમને-સામને આવી ગયા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એનઆઇએની તપાસ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ મુંબઈ પોલીસના મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેએ પોતાની ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. સાથે જ કહ્યું છે કે NIAએ ફ્ક્ત શંકાના આધાર પર જ તેમની ધરપકડ કરી છે.
શિવસેનાએ સચિન વઝેની ધરપકડના બહાને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે આ બદલાની કાર્યવાહી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે સચિન વઝેની બદલી કરી અને સમગ્ર કેસની તપાસ રાજ્યના એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS)ને સોંપી હતી. આ તપાસ ચાલી રહી હતી ત્યાં કેન્દ્રએ NIAને તપાસ કરવા માટે મોકલી. મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં તપાસ માટે સક્ષમ હતી.
શિવસેનાએ કહ્યું કે સચિન વઝેની તત્કાળ ધરપકડે ભાજપને ખુશ કરી દીધી છે. શિવસેનાએ આરોપ લગાવ્યો કે સરકારને અસ્થિર કરવા, જુઠ્ઠા કેસ બનાવવા અને રાજ્ય સરકારના અધિકારો પર આક્રમણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
શિવસેનાએ કહ્યું કે સુશાંત કેસમાં મુંબઇ પોલીસે શાનદાર કામ કર્યું. છતાં કેન્દ્ર સરકારે આ કેસને સીબીઆઇને સોંપ્યો. સીબીઆઇએ શું કર્યું? તેઓ હાથ ઘસતા રહી ગયા. કંગનાએ ગેરકાયદે કામ કર્યું તો પણ કેન્દ્ર અને ભાજપાના લોકો તેની સાથે ઉભા રહ્યા. હવે એન્ટિલિયા કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી તો તેમાં પણ એનઆઇએ વચ્ચે કૂદી છે.
સામનાએ લખ્યું કે થોડા મહિના પહેલા વઝેએ રાયગઢ પોલીસની મદદથી ભાજપના ‘મહંત’ અર્નબ ગોસ્વામીને અન્વય નાઇક આત્મહત્યા કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે આ લોકો ગોસ્વામીના નામ પર રડી રહ્યા હતા અને વઝેને શ્રાપ આપી રહ્યા હતા અને કહેતા હતા, ‘પ્રતીક્ષા કરો, અમે જોઈ લઈશું, કેન્દ્રમાં અમારી જ સત્તા છે’. હવે આ તકને ઝડપી લેવામાં આવી છે.
તો આ કેસમાં ભાજપના નેતા રામ કદમે કહ્યું કે સચિન વઝેના વકીલ બનીને તેનો બચાવ કરનારી શિવસેના, મહારાષ્ટ્ર અઘાડી સરકારના અન્ય બે દળોની નારાજગીના કારણે બની ચુકી છે, અઘાડી સરકારમાં તિરાડ બનવાનું કારણ વઝે બન્યા છે. વઝેના શિવસેના સાથે શું સંબંધ છે તેની તપાસ કરવાની હિંમત શું અનિલ દેશમુખ કરી શકશે?