- ઘાટલોડિયા વિધાનસભા બેઠક વધુ એક સીએમ આપશે
- આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયાથી જ ચૂંટાયા હતા
ભાજપે વિધાનસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવાની સાથે વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ જ ચૂંટણી લડવાનું સુનિશ્ચિત કરી દીધું છે. તેની સાથે ભાજપના આગામી મુખ્યપ્રધાન પણ ભુપેન્દ્ર પટેલ જ હશે તે સુનિશ્ચિત થઈ ગયું છે.
ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપની સૌથી સલામત બેઠક મનાય છે અને આ પહેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેના પરથી ટિકિટ લડ્યા હતા. આમ વિજય રૂપાણીની સમગ્ર સરકારને ઘરભેગી કરનારા ભાજપના મોવડી મંડળે અને તેમા પણ ખાસ કરીને વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલમાં વિશ્વાસ દાખવ્યો છે.
બીજા શબ્દોમાં કહીએ તો આગામી સમયમાં ભાજપનું નવું મંત્રીમંડળ પણ ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળનું હશે. હવે ભુપેન્દ્ર પટેલ પોતે જ મોદીની પસંદગી હોવાથી તેમને જીતાડવાની જવાબદારી પણ સ્વાભાવિક રીતે વડાપ્રધાન મોદીની રહેવાની છે. આમ ભુપેન્દ્ર પટેલને નવું પ્રધાનમંડળ પસંદ કરવાની તક મળશે તેમ મનાય છે.
ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ પહેલા આનંદીબેન પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને મુખ્યપ્રધાન બન્યા હતા. આમ ઘાટલોડિયા વિધાનસભા બેઠક અમદાવાદને વધુ એક મુખ્યપ્રધાન આપશે.