ટીમ ઈન્ડિયા માટે હેડિંગ્લેથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ હેડિંગ્લે મેદાન પર રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લોર્ડ્સમાં વિજય બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમનો જુસ્સો ઘણો ઉંચો દેખાતો હતો અને તે જ આત્મવિશ્વાસને કારણે વિરાટ સેના આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જોકે, આ નિર્ણય ભારતીય ટીમ માટે કંઈ ખાસ સાબિત થયો ન હતો અને ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેન ઈંગ્લિશ બોલરો સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહ્યા હતા અને ટેસ્ટ ક્રિકેટમાં તેના 9 માં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઇ હતી.
આ પણ વાંચો – India vs England / ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, અડધી ટીમ 58 રનમાં પરત ફરી
હેડિંગ્લેમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે માત્ર 40.4 ઓવર બેટિંગ કરી હતી અને માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમે બનાવેલો આ 9 મો સૌથી ઓછો સ્કોર છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં ભૂલ કરી છે કે પછી ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે તેઓ ટીમ માટે સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. હેડિંગ્લે ખાતે રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ટોસ જીત્યા બાદ વિરાટ કોહલીએ એક ક્ષણ પણ વિલંબ કર્યો ન હતો અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીનું માનવું હતું કે, પીચ પર વધારે ઘાસ નથી, જેના કારણે બેટ્સમેનોને બોલરો પર હાવી થઇ શકે છે અને સારી બેટિંગ કરી શકશે. જો કે, જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીનાં નિર્ણયને ખોટો સાબિત કર્યો અને ઇન-ફોર્મ કે.એલ. રાહુલને ઇનિંગની પ્રથમ ઓવરનાં પાંચમા બોલ પર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત મોકલ્યો હતો. ચેતેશ્વર પૂજારા ફરી એક વખત ફ્લોપ સાબિત થયો અને જેમ્સ એન્ડરસને તેને રાહુલની જેમ બટલર દ્વારા કેચ કરાવી ભારતને 4 રનનાં સ્કોર પર બીજો ફટકો આપ્યો હતો. કેપ્ટન કોહલીએ રોહિત સાથે પાર્ટનરશીપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ 7 રન બનાવીને એન્ડરસનની બોલિંગનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો – માહી માર રહા હૈ / પ્રેક્ટિસ મેચમાં ધોનીએ લગાવી બેક ટૂ બેક સિક્સર, Alert રહે વિરોધી ટીમ, Video
ભારતીય ટીમે માત્ર 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી અને વિરાટ સેના જોખમમાં જોવા મળી હતી. જોકે અજિંક્ય રહાણે (18) અને રોહિત શર્મા (19) એ ચોથી વિકેટ માટે 35 રનની ભાગીદારી કરીને ટીમની વાપસીનો સંકેત આપ્યો હતો, લંચ પહેલા ઓલી રોબિન્સને રહાણેને બટલર દ્વારા કેચ કરાવીને ભારતને ચોથો ફટકો આપ્યો હતો. આ પછી, રોહિત શર્મા પણ લાંબા સમય સુધી બેટિંગ કરી શક્યો નહીં અને રોબિન્સનને એક સરળ કેચ આપીને આઉઠ થઇ ગયો હતો. રોહિત શર્માનાં આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ સમેટાઇ જવામાં વધારે સમય લાગ્યો ન હતો અને ભારતની પ્રથમ ઈનિંગ માત્ર 78 રનમાં સમેટાઈ ગઇ હતી. ઈંગ્લેન્ડનાં બોલરોએ, ખાસ કરીને એન્ડરસને, પ્રથમ જ કલાકમાં ભારતીય ટીમને બેક ફૂટ પર ધકેલી દીધી હતી. એન્ડરસને લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને આઉટ કરીને ભારતીય ટીમની કમર તોડી નાખી હતી. એન્ડરસન પછી સીરીઝમાં પ્રથમ વખત રમી રહેલા ક્રેગ ઓવરટોને પણ ભારત પર ઉંડા ઘા કર્યા અને ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય સેમ કરન અને ઓલી રોબિન્સનને પણ 2-2 સફળતા મળી.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની રમત ઈંગ્લેન્ડનાં નામે રહી હતી પરંતુ ભારતીય બોલરો પાસે ફરી એક વખત વાપસી કરવાની તક છે. જો ભારતીય ટીમ શરૂઆતમાં ઈંગ્લેન્ડનાં ઓપનર બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહે તો ભારતની ટીમ ઈંગ્લેન્ડને મોટી લીડ લેતા રોકી શકે છે, કારણ કે ઈંગ્લેન્ડની આ ટીમમાં માત્ર જો રૂટ છે જે અત્યારે સારા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડની ટીમ મોટા ભાગે જો રૂટ પર આધારિત છે. આવી સ્થિતિમાં જો રૂટને વહેલા આઉટ કરીને ભારતીય ટીમ બીજા દિવસે વાપસી કરી શકે છે.