Jamnagar 3 Year Child Drowned: ગુજરાતમાં કાળજું કંપાવી દેતી અને માતા-પિતાની આંખો ભીની કરી દે તેવી એક અત્યંત દુઃખદ ઘટના જામનગર શહેરમાંથી સામે આવી છે. અહીં સાતનાલા નજીક આવેલા મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારના માત્ર 3 વર્ષના માસૂમ દીકરાનું રમતાં-રમતાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. ગઈકાલે (7 જૂન) રવિવારના રોજ ઘટેલી આ હોનારતને પગલે હસતા-ખેલતા બાળકે દુનિયા છોડી દેતાં સંધિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
Jamnagar : ફળિયામાં રમતા રમતા કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, જામનગરના સાત નાલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર ખાતે રહેતા માયા સંધિયાનો ત્રણ વર્ષીય પુત્ર જયરાજ રવિવારે પોતાના ઘરના ફળિયામાં અન્ય દિવસોની જેમ જ ખુશખુશાલ માહોલમાં રમી રહ્યો હતો. રમતો રમતો માસૂમ જયરાજ અચાનક ત્યાં ખુલ્લા અથવા અડધા ઢાંકેલા પાણીના ટાંકા પાસે પહોંચી ગયો હતો અને અજાણતા જ તેમાં ખાબક્યો હતો. બાળક લાંબા સમય સુધી ન દેખાતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જે દરમિયાન જયરાજ પાણીના ટાંકામાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. માસૂમને તાત્કાલિક લોહીલુહાણ હૈયે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને ‘મૃત જાહેર’ કર્યો હતો.
વાલીઓ માટે આ કિસ્સો છે મોટી ચેતવણીરૂપ
માત્ર 3 વર્ષના કુમળા બાળકના અકાળ અવસાનથી માતા-પિતા સહિત પરિવારના તમામ સભ્યોમાં આક્રંદ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટનાએ જામનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના વાલીઓને વિચારતા કરી મૂક્યા છે અને આ કિસ્સો દરેક માતા-પિતા માટે મોટી ચેતવણી સમાન છે. નાના બાળકો જ્યારે ઘરના આંગણામાં કે ફળિયામાં એકલા રમતા હોય ત્યારે પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકા, કૂવા, ખુલ્લા ખાડા કે અગાસી સહિતના જોખમી સ્થળો પાસે ખાસ તકેદારી રાખવી અને ટાંકાના ઢાંકણા હંમેશા લોક રાખવા ખૂબ જ અનિવાર્ય છે, જેથી આવી અણધારી મોટી આફતથી બચી શકાય.
આ પણ વાંચો: જામનગરના હોલી ડે વોટર પાર્કમાં કરુણ ઘટના: 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
આ પણ વાંચો: જામનગરમાં સગીરાનું શારીરિક શોષણ કરનારની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, NHM કર્મચારી સામે પોલીસ ફરિયાદ
