Ahmedabad News:ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તાજેતરમાં વિવાદના કેન્દ્રમાં છે. 6 ડિસેમ્બર 2025ના રોજ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કર્યા બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો છે. આ નિર્ણય કાંકરેજના શિહોરી ખાતે યોજાયેલી સમાજની બેઠકમાં લેવામાં આવ્યો હતો. કિંજલે આનો જોરદાર વિરોધ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે, જ્યારે સમાજના આગેવાનો પોતાના નિર્ણય પર અડગ છે.

કિંજલ દવેએ (Kinjal Dave) ધ્રુવિન શાહ સાથે લાંબા સમયના સંબંધો બાદ સગાઈ કરી છે. સગાઈના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. ચાહકોએ આ જોડીને અભિનંદન પાઠવ્યા, પરંતુ ધ્રુવિન શાહ બ્રહ્મ સમાજના ન હોવાથી આંતરજ્ઞાતિય સગાઈને લઈને વિરોધ ઊભો થયો.
કિંજલ દવેના નિવેદન પર જનક જોશીએ કર્યો વળતો પ્રહાર
પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં કિંજલના પિતા લલિત દવે સહિત પરિવારને આજીવન બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવાયો.સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ જણાવ્યું કે, સમાજના બંધારણ મુજબ પરસમાજમાં લગ્ન ગુનો છે. આ નિર્ણય માત્ર કિંજલને ટાર્ગેટ કરીને નહીં, પરંતુ સમાજના નિયમોનું પાલન કરાવવા માટે લેવાયો છે.

બહિષ્કારની જાહેરાત બાદ કિંજલે મૌન તોડ્યું અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો. તેમણે કહ્યું, “એક બ્રાહ્મણ દીકરી હોવાનો મને ગર્વ છે. સમાજે મને આટલું ઊંચું પહોંચાડ્યું છે, પરંતુ દીકરીઓની પાંખો કાપવાની વાતો ચાલે છે. એક તરફ દીકરીઓ તેજસ ઉડાવે છે, તો બીજી તરફ તમે પાંખો વિંઝો છો.” કિંજલે સમાજના આગેવાનોને ‘અસામાજિક તત્વો’ કહ્યા અને પરિવાર વિરુદ્ધ બોલનારા સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી.કિંજલે સાટા પ્રથા અને જૂની પરંપરાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેના કારણે તેમની અગાઉની સગાઈ તૂટી હતી.

જનક જોશીએ (Janak Joshi) કિંજલની માનસિકતાને ‘હલકી’ ગણાવી અને કહ્યું કે, સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ ન કરો. તેને જણાવ્યું કે, દરેક સમાજનું પોતાનું બંધારણ હોય છે અને આ નિયમ કિંજલ માટે નવો નથી. સાટા પ્રથા સામાજિક બંધારણ છે, જેમાં કોઈ કાયદો લાગુ પડતો નથી. જો સમાજે પાંખો કાપી હોત તો કિંજલ આટલા ઊંચે કેવી રીતે પહોંચી હોત?સમાજના અન્ય આગેવાનોએ કહ્યું કે, આ નિર્ણય દીકરીઓનું રક્ષણ કરવા માટે છે, કારણ કે પરસમાજમાં લગ્ન બાદ છૂટાછેડાના કેસ વધુ થાય છે.

કિંજલ દવેનો જન્મ પાટણ જિલ્લામાં થયો હતો. તેમના પિતા લલિત દવે હીરા ઘસવાનું કામ કરતા હતા અને ગીતો લખવાનો શોખ ધરાવતા હતા. નાની ઉંમરે ‘જોનડિયો’ આલ્બમથી કિંજલે લોકપ્રિયતા મેળવી અને ‘ચાર ચાર બંગડી’ જેવા ગીતોથી ગુજરાતની ‘ગરબા ક્વીન’ બની.આ વિવાદે આંતરજ્ઞાતિય લગ્ન, વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક પરંપરાઓના મુદ્દે ચર્ચા છેડી છે. કિંજલના સમર્થકો તેમની પસંદગીના અધિકારની વાત કરે છે, જ્યારે સમાજ પોતાના નિયમોનું રક્ષણ કરવાનો દાવો કરે છે. આ મામલો હજુ ચાલુ છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ છે.
આ પણ વાંચો:કિંજલ દવેની સગાઈ વિવાદ: બ્રહ્મ સમાજનો બહિષ્કાર, ગાયિકાએ કહ્યું – ‘દીકરીઓની પ્રગતિ જોઈ શકતા નથી’
આ પણ વાંચો:ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી
આ પણ વાંચો:લોકપ્રિય સિંગર કિંજલ દવે હવે જ્ઞાતિ બહાર, પ્રેમલગ્ન સામે વિરોધનો સૂર

