ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે છે ત્યારે ભાજપમાં ચૂંટણીના ધમધમાટે નવા જ સૂર શરૂ કર્યા છે. આજે શરૂ જેપી નડ્ડાએ જુનાગઢમાં જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા તે ગુજરાતીઓ વિરોધી પાર્ટી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ છે એ પણ ઉલ્લેખ કર્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી તો આ ચૂંટણીમાં પોતાનુ ખાતુ પણ નહીં ખોલાવી શકે.
જુનાગઢમાં સંબોધન દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે વિકાસનો મુદ્દો જ સર્વોપરી છે. અહીં જનતા વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે. કોંગ્રેસ ગુજરાતીઓ વિરુદ્ધ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મેધા પાટકરે નર્મદા વિરોધી ચળવળ કરી હતી અને કોંગ્રેસ તેમને યાત્રામાં જોડે છે. જેનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે કોંગ્રેસ ગુજરાતીઓને પ્રેમ કરતી નથી.
ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડાએ જુનાગઢમાં ભાજપના કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો અને તેમણે સ્થાનિક વિસ્તારોમાં ભાજપની સ્થિતિને લઈને અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે અને થોડી નબળી કામગીરીના પગલે જેપી નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓને ઠપકો આપ્યો છે.
નોંધનીય છે કે જેપી નડ્ડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે AAP તો આ ચૂંટણીમાં ખાતુ પણ નહીં ખોલાવી શકે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એ જ હાલ થયા છે એવા જ હાલ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના થશે. AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જવાનો દાવો પણ જેપી નડ્ડાએ કર્યો છે.