વેરાવળ ટાવર ચોક ખાતે કોંગ્રેસના સમર્થનમાં રાષ્ટ્રીય સ્તરના નેતા કનૈયા કુમારે જનસભા સંબોધી હતી.સભામાં કનૈયાકુમાર, હિન્દી ફિલ્મ અભિનેતા રાહુલ દેવ તેમજ સાહિત્યકાર હકૂભા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાનો પ્રચાર કર્યો હતો.ત્યારે સભામાં કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પોતાના સંબોધનમાં કનૈયા કુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા માટે સક્ષમ છે, આમ આદમી પાર્ટી જે શૂન્યમાંથી શરૂઆત કરી રહી છે તે ભાજપને હરાવી નહીં શકે. ગુજરાતની ચૂંટણી ખૂબ રસપ્રદ થઈ છે અહીં ભાજપ એટલા માટે લડી રહી છે કે તે આંતરરાષ્ટ્રીય પાર્ટી બનવા માંગે છે, અને આમ આદમી પાર્ટી એટલા માટે લડી રહી છે કે તે રાષ્ટ્રીય પાર્ટી બનવા માંગે છે.
મોરબીની ગોઝારી ઘટના ને ટાંકી પ્રહાર કરતા જણાવેલ કે, નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયા નું યુદ્ધ શાંત કરાવવામાં વ્યસ્ત હશે જેથી મોરબીમાં પુલ તુટ્યો એ કેસમાં ગુનેગારોને નથી પકડી શક્યા. આજે યુવાનો ડરી રહ્યા છે કે પોતે એન્જિનિયરિંગ એમબીએ કર્યા પછી પણ બેરોજગાર છે.
કનૈયા કુમાર જય શાહ વિશે ટિપ્પણી કરતા સમયે રાજકીય વિવેક ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે મોટાભાઈ ના દીકરાએ 50 લાખની કંપનીને 300 કરોડની બનાવી દીધી. આમાં તેની કોઈ સ્કીલ નથી તેનો બાપ મંત્રી છે એટલે તેની પાસે ₹300 કરોડ છે.
તેમને ગુજરાતના લોકોને કહ્યું હતું કે તમે બદલશો તો દેશ બદલશે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દૂર કરવું હશે તો ગુજરાતમાં ભાજપને હરાવવું પડશે તેમ કનૈયા કુમારે સાંકેતિક ભાષામાં લોકોને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમારી અને અમારી સમસ્યા એક જ છે.
ત્યારે કનૈયા કુમારની સાથે સાથે સ્થાનીય કોંગ્રેસી ઉમેદવાર વિમલ ચુડાસમાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા વિમલ ચુડાસમા એ કહ્યું હતું કે આપના ઉમેદવાર દર પાંચ વર્ષે પાર્ટી બદલે છે કારણ કે તેમને પોતાનો ધંધો ટકાવી રાખ્યો છે તેમણે અમિત શાહના આશીર્વાદ લઈને મારી સભામાં રમખાણો થાય એ પ્રકારની સ્પીચ આપી હતી. છતાં પણ હું જીતીને આવ્યો.