વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શ્રી મૈરાળ ગણપતિનું 250 વર્ષ જુનું ઐતિહાસિક મંદિર આવેલું છે. એક જમાનામાં મંદિરના ભોંયરામાં અઢળક સંપત્તિ હતી. શ્રી મૈરાળના ગણપતિની સ્થાપના કરનાર સ્વ. ગોપાલરાવ મૈરાળે બરોડા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડને નવકોટીનું દાન કર્યું હતું. આથી તેઓ નવકોટી નારાયણ કહેવાતા હતા. હાલ ગણપતિ ઉત્સવ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.
ધુંડીરાજ ગણપતિ તરીકે પણ જાણીતા
શ્રી મૈરાળ ગણપતિ ધુંડીરાજ ગણપતિ તરીકે પણ જાણીતા છે. મંદિરનું સંચાલન અત્કયારે ડો. આશુતોષ મૈરાળે કરે છે. આ ગણપતિ મંદિર 2100 સ્ક્વેર ફૂટ જગ્યામાં છે. મંદિરની નીચે એક વિશાળ ભોયરૂં છે. પરંતુ વર્ષોથી આ ભોંયરામાં કોઇ ગયું નથી. કહેવાય છે કે, આ ભોંયરામાં અઢળક ખજાનો રહેતો હતો. આશુતોષના પૂર્વજ અને શ્રી મૈરાળ ગણપતિની સ્થાપના કરનાર સ્વ. ગોપાલરાવ મૈરાળ મહારાજાના દરબારમાં દિવાન હતા. તેઓએ મહારાજા ખંડેરાવને નવકોટીનું દાન કર્યું હતું. નવકોટી એટલે વર્તમાન સમયમાં તેની કિંમક રૂપિયા 9 કરોડની થાય. એમ પણ કહેવાય છે કે, વાડી મૈરાળ ગણપતિ મંદિરથી માંડવી નજરબાગ સુધી લાઇન લાગેલા ગાડાઓમાં સોના-મહોર ભરીને મહારાજાને ભેટ આપી હતી. આથી તેઓ નવકોટી નરાયણ કહેવાતા હતા.
સાતમી પેઢી મંદિરનું સંચાલન કરે છે
આ મંદિરનું સંચાલન અત્યારે સાતમી પેઢી કરી રહી છે. સંપૂર્ણ સાગ, સિસમ અને આરસપાનના પથ્થરમાંથી બનાવવામાં આવેલુ આ મંદિર હવેલી જેવું છે. બે માળના મંદિરનું બાંધકામ હેમાળપંથી શૈલીનું છે, જેમાં અદભૂત કોતરણી છે. પરીસરમાં બે ફૂવારા છે. મંદિરમાં શ્રી ગણેશજી સહિત તેમના પરિવારની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરનું વિશેષ મહત્વ છે અને કહેવામાં આવે છે કે આ પ્રકારનું મંદિર વર્તમાન યુગમાં બનવું મુશ્કેલ છે.
21 મંદિરની સ્થાપના કરી હતી
સ્વ. ગોપાલરાવ મૈરાળે વાડીના આ ગણપતિ મંદિર સહિત શિનોર ખાતે શ્રી સિદ્ધી વિનાયક, વડોદરામાં રાજમહેલ રોડ પર શ્રી સિદ્ધનાથ, ગીરગાંવ મુંબઇ અને ઉમરાગ સહિત 21 ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી.
ત્રીજી પેઢી આરતી સમયે શરણાઇ વગાડવા આવે છે
આ મંદિરમાં રોજ સંધ્યાકાળે શરણાઇના સૂર સાથે શ્રી મૈરાળ ગણપતિની આરતી કરવામાં આવે છે. ગુરવ પરિવારની ત્રીજી પેઢી મંદિરમાં આરતી સમયે શરણાઇ વગાડવા માટે આવે છે. જેને ચૌંઘડા વાંજત્રી કહે છે.
દાનની રકમમાંથી મંદિરમાં અભિષેક થાય છે
એવી માન્યતા છે કે, શ્રી મૈરાળ ગણપતિ મંદિરમાં પાંચ મંગળવાર ભરનારની મનોકામના પૂરી થાય છે. મંગળવાર ઉપરાંત સંકટ ચોથ અને વિનાયક ચોથના દિવસે મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. દાનની રકમમાંથી મંદિરમાં અભિષેક કરવામાં આવે છે. શ્રી મૈરાળ ગણપતિ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.