સુરેન્દ્રનગર/ લખતરના ડેરવાળાના શખ્સને અનાજના કાળા બજાર કરવાના મામલે જેલમાં મોકલાયો

પ્રાઈવેટ ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાનું ઘઉં, ચોખા તથા ખાંડ કુલ કટ્ટા નંગ 1817 કિ.રૂા. 24,70,700નો મુદામાલ મળી આવતા લખતર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો

Gujarat
4 45 લખતરના ડેરવાળાના શખ્સને અનાજના કાળા બજાર કરવાના મામલે જેલમાં મોકલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ જગ્યાએ જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો હેરફેર થતો હોય કે સંગ્રહની ગેરકાયદેસરની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવા આરોપી વિરૂધ્ધ કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ-1980 હેઠળ અટકાયતમાં લેવા થયેલ હુકમની બજવણી કરવા સુચના આપવામાં આવી હતી.

જે બાબતે લખતર પો.સ્ટે. વિસ્તારમાં ગઈ તા.11/11/2021ના રોજ અન્નપૂર્ણા હોટલની પાછળ લખતર ખાતેથી મહાવીરસિંહ અજીતસિંહ રાણા ( રહે. ડેરવાળા તા. લખતર ) વાળાના પ્રાઈવેટ ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાનું ઘઉં, ચોખા તથા ખાંડ કુલ કટ્ટા નંગ 1817 કિ.રૂા. 24,70,700નો મુદામાલ મળી આવતા લખતર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા ( રહે. ડેરવાળા તા.લખતર જી. સુરેન્દ્રનગર ) વાળાની ધરપકડ કરી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જે આરોપીને જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરે પીબીએમ ધારા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઈસ્યુ કરી ધોરણસર બજવણી કરવા અને જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

જે હુકમની બજવણી માટે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાં માર્ગદર્શન અન્વયે વી.વી. ત્રિવેદી- પોલીસ ઈન્સ્પેકટર એસઓજી સુરેન્દ્રનગરએ આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા ( રહે. ડેરવાળા તા. લખતર જીલ્લો સુરેન્દ્રનગર )વાળાને તા.26-4ના કલાકે 20 વાગ્યે અટકાયતમા લઈ પીબીએમ વોરંટની ધોરણસર બજવણી કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.