રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે નોમિશનનો છેલ્લો દિવસ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને સમર્થન આપવા આજે કોંગ્રેસ દિગ્ગજો હાજર રહેશે. અશોક ગેહલોત આજે સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની હાજરીમાં અશોક ગેહલોત નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરશે. ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ તેની સાતમી અને છેલ્લી યાદી જાહેર કરી. રાજસ્થાનમાં દિવાળી બાદ 25 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામ 3જી ડિસેમ્બરે આવશે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. આ સિવાય અન્ય રાજકીય પક્ષોએ પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે. રાજસ્થાનમાં રાજકીય સમીકરણો આગામી સમયમાં બદલાઈ શકે છે. 25 નવેમ્બરે યોજાનાર આ મતદાન માટે 6 નવેમ્બર એટલે કે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે.
રવિવારે વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી. કોંગ્રેસે પોતાની 7મી અને અંતિમ યાદી બહાર પાડી. જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા.
જ્યારે રવિવારે ભાજપે પોતાની પાંચમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ભાજપે 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં 197 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સોમવારે જોધપુરની સરદારપુરા વિધાનસભા સીટ પરથી ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના મતવિસ્તારમાં રેલી પણ કરી શકે છે. રાજસ્થાનના સીએમ ગેહલોતને સમર્થન આપવા કોંગ્રેસ દિગ્ગજો મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહેશે. વિધાનસભા ચૂંટણીમાં સરદારપુરા સીટ વધુ મહત્વની બની રહેશે. આ બેઠક પરથી કોંગ્રેસના અશોક ગેહલોત ચૂંટણી લડશે જ્યારે ભાજપે આ બેઠક પરથી મહેન્દ્ર સિંહ રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્થાનમાં મહત્વના એવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી પહેલા જ જીતનો દાવો કરી રહ્યા છે.