ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાની ફરિયાદ થઇ હતી.કેટલાક આરોપીઓએ મળીને સિંગરવા પાસેના પ્લોટનું ગેરકાયદેસર રીતે દસ્તાવેજ બનાવીને તેને પચાવી પાડવાના ગુનાને અંજામ આપ્યો હતો. આ ગુનામાં વકીલ કનુ પટેલની પણ સંડોવણી બહાર આવતા ઓઢવ પોલીસે આરોપીનીન ધરપકડ કરીને તેને જેલ ભેગા કર્યા હતા.
આરોપીએ ગ્રામ્ય કોર્ટમાં પોતાના વકીલ નિશાર વૈદ્ય દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવી હતી. જે મામલે વીડિયો કોન્ફ્રન્સ દ્વારા કોર્ટમાં સુનવણી હાથ ધરાતા બચાવ પક્ષના વકીલે કોર્ટની સમક્ષ દલીલ કરી હતી કે તેમના અસીલે કોઈ પણ જાતનો ગુનો આંચર્યો નથી. તેમની સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માટે તેમને જામીન મળવા જોઈએ.
બીજી તરફ મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટમાં જામીન અરજી ઉપર વાંધો ઉઠાવીને પોતાનો જવાબ રજૂ કર્યો હતો કે આરોપી સામે જે છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે તેમાં આરોપીને જામીન ન મળવા જોઈએ. જો આરોપીને જામીન મળશે તો ચોક્કસ પણે કેસના પુરાવા સાથે ચેડાં થઇ શકે છે.
ગ્રામ્ય જજ એચ.આર.શાહએ સરકાર પક્ષના વાંધાને ગ્રાહ્ય રાખીને આરોપી કનુ પટેલની જામીન અરજીને ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.