- પુસ્તકોને જ માને છે વૈભવ : લોકડાઉનના સમયગાળામાં જ 40,000 રૂપિયાના પુસ્તકોની ખરીદી કરી
@ભાવિની વસાણી, રાજકોટ
અત્યારના હાઇટેક યુગમાં જ્યારે બહુમતી લોકો વર્તમાન સમયમાં વાંચનનો શોખ ઘટયો હોવા અંગેનો મત ધરાવે છે. જ્યારે તેની વચ્ચે પણ એક અનોખા અને અદભૂત પુસ્તક પ્રેમી છે કે નાનપણથી જેઓને કિશોર કથાઓ વાંચવાનો શોખ હતો અને આજે તેઓની લાઇબ્રેરીમાં અંદાજે 7,000 જેટલા પુસ્તકો ધરાવે છે. આ “પુસ્તક પ્રેમી” એટલે કે ભુજની સ્વામિનારાયણ વિદ્યાલય હાયર સેકન્ડરી સ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવતાં હરેશનાથ. તેઓનો જન્મ 14 ઓગસ્ટ 1985માં થયો છે. શિક્ષક તરીકેની નોકરી કરતા હોય 35 વર્ષની યુવાન વયમાં આસપાસના પરિચિત લોકો તેમને નાથ સાહેબના હુલામણા નામથી ઓળખે છે. લોકડાઉનમાં સમય પસાર કરવા માટે વાંચન સિવાય અન્ય પ્રવૃત્તિઓ ન હોય તેમણે પુસ્તકોની ધુમખરીદી કરી છે. એટલું જ નહીં છેલ્લા છ-સાત મહિનામાં તેમણે રુપિયા 40,000ની કિંમતના 1500 જેટલા પુસ્તકોનો તેમની લાઈબ્રેરીમાં ઉમેરો પણ કર્યો છે. તેઓની સાથે ટેલિફોનિક ચર્ચા દ્વારા તેમની ‘વાંચનયાત્રા’ વિશે જાણકારી મેળવી આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
નાથ સાહેબ જણાવે છે કે “નાનપણથી જ વાંચનનો શોખ હતો. વર્ષો અગાઉ કિશોરાવસ્થામાં ચંપક અને ‘સફારી’ જેવા મેગેઝિનો વાંચવાની શરૂઆત કરી હતી.તેઓ જણાવે છે કે તેઓ ‘સફારી’ના નિયમિત ગ્રાહક રહ્યા છે એટલું જ નહીં તેમની પાસે 30 વર્ષના ‘સફારી’ મેગેઝીનનું કલેક્શન પણ છે.આમ ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વાંચનથી શરૂઆત કરીને ગુજરાતી સાહિત્ય વાંચનની શરૂઆત એફ.વાય.બી.એ.માં થઈ હતી કે જ્યારે અંગ્રેજી વિષયમાં સ્નાતક માટે વૈકલ્પિક વિષય ગુજરાતી રાખ્યો હતો. સૌપ્રથમ પન્નાલાલ પટેલનું “મળેલા જીવ” પુસ્તક વાંચ્યું હતું અને તેના કારણે સાહિત્ય વાંચનનો ચસકો લાગ્યો હતો. યુવાનીના દિવસોમાં લાઇબ્રેરીમાંથી પ્રખ્યાત લેખકોના પુસ્તકો શ્રેણીબદ્ધ વાંચ્યા હતા અને ત્યારબાદ પુસ્તકો પ્રત્યેનો લગાવ દિન-પ્રતિદિન વધતો ગયો અને હજુ પણ યથાવત જ રહ્યો છે.”
નાથા સાહેબ વધુમાં જણાવે છે કે “હું ભણતો ત્યારે આર્થિક રીતે વડીલો પર નિર્ભર હોય જાતે પુસ્તક ખરીદ્યા ન હતા, લાઇબ્રેરીમાંથી વાંચીને કામ ચલાવ્યું. પરંતુ જ્યારથી પોતે પગભર થયા બાદ સારી કમાણી કરતા થયા પછી વર્ષ 2009માં પુસ્તકોની ખરીદી કરવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં પછી તો બલ્કમાં પુસ્તકોની ખરીદી કરવાની શરૂ થઈ, પોતે પણ પુસ્તકો ખરીદ્યા અને બીજાને પણ ખરીદવા માટે પ્રેરણા આપતો રહ્યો. પહેલા પાઠ્યપુસ્તકમાં સાહિત્યને અદકેરું સ્થાન આપવામાં આવતું હતું, હવે તો તેમાં પણ વૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. પરંતુ મને વાંચનનો શોખ હોય મારા વિદ્યાર્થીઓ પાસે જરૂર પડે ત્યાં સાહિત્યની સાથે પ્રસંગોને વણી અને રજૂઆત કરતો રહું છું. તેમજ વધુમાં વધુ લોકો વાંચતા થાય તે પ્રકારનો મારો વ્યક્તિગત અભિગમ ધરાવું છું. મારી આસપાસ મોટાભાગના લોકો વાંચનનો શોખ ધરાવતા નથી પરંતુ સાહિત્યનો રસ ધરાવનાર મિત્ર હોય તો તેને શુભ પ્રસંગે પુસ્તકોની ભેટ આપવાનું જ પસંદ કરું છું.”
તેઓના ગમતા લેખકોમાં કોઈ એક લેખકને શ્રેષ્ઠ ગણતાં નથી, પરંતુ તેઓ અંગ્રેજી, ગુજરાતી અને ફ્રેન્ચ સહિત તમામ ભાષાઓના લેખકોને એક સમાન મહત્વ આપે છે. તેઓ માને છે કે દરેક લેખકની પોતાની અનોખી લાક્ષણિકતા અને ભાષાશૈલી હોય છે. ગુજરાતી ભાષામાં કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ તેમજ સાહિત્યક રીતે ‘દર્શક’ એટલે કે મનુભાઈ પંચોળી વગેરે તેઓને પ્રિય છે.આધુનિક ગુજરાતી ભાષા સાહિત્યમાં ધ્રુવ ભટ્ટના તમામ પુસ્તકોના બધા જ ભાગ તેઓએ વાંચ્યા છે. તેઓ જણાવે છે કે ધ્રુવ દાદાની આગવી શૈલી ઉપરાંત જીવન પદ્ધતિ વિશેનો તેમનો ખ્યાલ એ રીતે રજૂ કરવામાં આવે છે કે લોકોને તેના પર વિચારતા કરી મૂકે છે. પછી તે એક લાઈન કે એક પેરેગ્રાફ પણ હોઈ શકે છે.
અંગ્રેજી ભાષામાં વિલિયમ શેક્સપિયરની તુલના હજુ સુધી કોઈ સાથે થઇ ન શકે એટલા અદના નાટકો તેમણે લખ્યા છે. તેમના નાટકોમાં શૃંગારિક બાબત પણ રજુ થઇ છે, ત્યાં સુધી બહુ ઓછા લોકો પહોંચ્યા છે. તેમની ચાર ટ્રેજડી જ માઇલસ્ટોન સમાન છે. નોવેલિસ્ટમાં અરનેસ્ટ હેમિંગ્વેને પસંદ કરે છે તેઓના લખાણ ગુજરાતી ભાષાના ધ્રુવ ભટ્ટ સમાન વિચારવા માટે પ્રેરે તેવા હોય છે. હાલમાં અંગ્રેજી ભાષાના લેખકોમાં તેઓને અગાથા ક્રિસ્ટી પસંદ છે. જેઓની બધી શ્રેણીબદ્ધ નવલકથાઓ તેઓ વાંચી ચૂક્યા છે. આ ઉપરાંત જેફ્રિ આર્ચર, ડોન બ્રાઉન, જોન ગ્રીસેમ, કોલો પોએલો પસંદ છે જેના કેટલાક પુસ્તકો બેસ્ટસેલર રહ્યા છે. જેમાં ‘એલકેમિસ્ટ’,’વિનસ’ અને ‘સ્ટેન્ડ અલોન’નો સમાવેશ થાય છે. જ્યારે ફ્રેન્ચ લેખકોમાં સેહામ લીલી ઉપરાંત જૂલેવર્ન કે જેણે કિશોર કથા અને સાહસ કથાઓનો મબલખ પાક આપ્યો છે, જે બાળકોને સાહસવૃતિ માટે પ્રેરણા આપે છે. આ ઉપરાંત આર્લી ઈવેન્સે પણ ઘણી સારી નવલકથાઓ લખી છે જે તેઓને ખૂબ જ પસંદ પડી છે.
વિવિધ ભાષાઓમાં બહોળું વાંચન ધરાવવા ઉપરાંત હરેશનાથ સાહેબે કોલેજકાળથી તેઓની સ્થાનિક કચ્છી ભાષામાં લેખનની પણ શરૂઆત કરી હતી. કચ્છથી પ્રકાશિત થતાં “કચ્છ મિત્ર” દૈનિકની રવિવાર અને બુધવાર અને ગુરુવારની પૂર્તિઓ માં નવ વર્ષ સુધી છુટાછવાયા વાર્તા, કવિતા, પ્રવાસ લેખન છપાતા રહ્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા હોવાના નાતે વાંચનનો રસ ટકી રહ્યો છે. જેથી લેખન માટે વધારે અવકાશ મળતો નથી. તેઓને ઘણા પ્રકાશન તરફથી લેખન માટે પણ ઓફર મળતી હોય છે જેથી વધારે લખવાની પ્રેરણા ચોક્કસ થાય છે પરંતુ વર્તમાન સમયમાં નોકરીની સાથે સમયના અભાવ હોય છે જેથી વાંચનની જેમ લેખન માટે ઝનૂન નથી.
વર્તમાન સમયમાં વાંચનનો રસ ઘટી રહ્યો હોવાની લોકોની માનસિકતા ઘડાઈ રહે છે તેની પાછળ સમય ઝડપથી બદલાઈ રહ્યો હોવાનું તેઓ જણાવે છે. સારુ લખેલુ તુરંત છપાઈ જાય છે તેમજ ફિલ્માંકન પણ થઈ જાય છે. સમયના અભાવે લોકો જોવાનું વધારે પસંદ કરે છે. પુસ્તકોમાં રસ હોય છે પરંતુ ‘સમયનો અભાવ અને અન્ય મીડિયાનો પ્રભાવ’ વાંચન પર અસર કરી રહ્યો હોવાનું તેઓ જણાવે છે. નાથ સાહેબને ઓનલાઇન વાંચન કરવું ગમતું નથી. હાથમાં પોતાનું પુસ્તક હોય ત્યારે એક પોતીકાપણું લાગે છે તેમજ વાંચનમાં સ્થિરતા આવે છે એવું તેઓનું માનવું છે.
વર્તમાન સમયમાં તેઓ “કચ્છમિત્ર” સિવાયના એક પણ અખબારને ઊંડાણપૂર્વક વાંચતા નથી, કારણ કે વર્તમાન સમયમાં અખબાર અને ન્યૂઝ ચેનલોના રાફડાની વચ્ચે સાચું કે ખોટું તારવવું ખૂબ જ અઘરું થઈ રહ્યું છે અને વધારે સમય પણ હોતો નથી. સાહિત્ય વાંચન માટે પણ તેઓને રસ હોય મોડી રાત્રે કે ત્રીજો પ્રહર વાંચન માટે પસંદ કરે છે પરંતુ દિવસના સમયે તેઓને વધારે વાંચન કરવા માટે સમય મળતો નથી. નાથ સાહેબ પોતે માને છે કે પુસ્તકોના કારણે તેઓ પોતે અપડેટ થતા રહ્યા છે, ઘડાતા રહ્યા છે, પુસ્તકોએ તેમને હુંફ આપી છે, અને પુસ્તકોના રસના કારણે તેઓનું સાહિત્યના મિત્રોનું સુંદર વર્તુળ બની ગયું છે. એટલું જ નહીં તેમના પુસ્તકોને તેઓ પોતાની જાહોજલાલી તેમજ આંતરિક વૈભવ ગણાવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન