કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધનની સંખ્યા વધારે છે. કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ 20 લાખ કરતા વધારે પશુધન છે. જેમ કોરોના મહામારીએ માનવ જાતિને જકજોડી મૂક્યું હતું તેવી જ રીતે કચ્છમાં છેલ્લા થોડા સમયથી ગૌવંશમાં પણ એક ચેપી રોગે માજા મુકી છે. તાવથી શરૂઆત થઈ શરીર પર મોટા મોટા ફોડલા ઉપસ્યા બાદ અંતે ગાયોના કરુણ મોત લમ્પી સ્કિન ડીસીઝના કારણે થઈ રહ્યા છે.
થોડા મહિનાઓ અગાઉ લખપત તાલુકાના કૈયારી ગામ ખાતે ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામના રોગે દેખાવો દીધો હતો અને જોત જોતામાં સમગ્ર કચ્છમાં આ રોગ ફેલાઈ ગયો છે. શરૂઆતમાં ગાયોમાં તાવ અને અશક્તિ જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી પણ ધીમે ધીમે આ રોગના કારણે ગાયોના મોતની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અબડાસા સ્થિત કચ્છની સૌથી મોટી ગૌશાળામાં પણ અત્યાર સુધી 200 જેટલી ગાયોનું મોત થયું હોવાનું પાંજરાપોળ સંચાલકે જણાવ્યું હતું.
છેલ્લા થોડા મહિનાઓથી કચ્છમાં આ રોગચાળો ફાટી નીકળ્યા બાદ જિલ્લા પંચાયતે ગત સામાન્ય સભામાં ગાયોના રસીકરણ માટે રૂ. 10 લાખની ફાળવણી પણ કરી હતી. પણ રોગ નવું હોવાના કારણે હજુ સુધી તેની યોગ્ય રસી શોધાઈ નથી. માટે જ જે ગાયોમાં આ રોગ ફેલાયો નથી તેમને રસી આપી તેમનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે જ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બનતા પૂરા પ્રયત્ન કર્યા છતાં પણ ગાયોના મોત થઈ રહ્યા હોતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યું છે.
આ અંગે જિલ્લા પશુપાલન નિયામક ડો.હરેશભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ કચ્છ જિલ્લામાં લમ્પી રોગથી પીડિત પશુઓને કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ ટિમો થકી 81 હજાર જેટલી રસી આપવામાં આવી છે અને ૨૬ હજાર થી વધુ પશુઓને આ માટેની સારવાર કરાઈ છે. જેમાં કચ્છ જિલ્લા પંચાયતના 14 પશુ ચિકિત્સા અધિકારી અને 10 પશુધન નિરીક્ષક અને ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટ ના અધિકારીઓ સાથે મળીને ટીમો બનાવેલ છે એ ટિમો કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં એક ઝુંબેશ સ્વરૂપે સારવાર અને રસીકરણ કરશે
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં નગરપાલિકા દ્વારા કોડકી રોડ મધ્યે લમ્પી રોગથી પીડિત રખડતા ભટકતા બિન વારસુ પશુઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને માધાપર ગામમાં પણ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આવેલ નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લમ્પી રોગના જ્યાં વધુ કેસો જોવા મળતા હોય ત્યાં આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધુ સારી રીતે સારવાર કરી શકાય છે