Gujcomasol Mango Festival: ઉનાળાની સીઝન જામી છે ત્યારે કેરીના રસિયાઓ અને ખેડૂતો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજકોમાસોલ (Gujcomasol) દ્વારા ગાંધીનગરમાં ભવ્ય ‘મેંગો ફેસ્ટિવલ’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે, આ પહેલથી ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળશે અને વિદેશી બજારોમાં સીધું વેચાણ કરવાનો માર્ગ મોકળો થશે.

ખેડૂતો બનશે ગ્લોબલ
આ મેંગો ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો અને ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાની કેરી ઉપલબ્ધ કરાવવાનો છે. અત્યાર સુધી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ મોટી કમાણી કરી જતા હતા, પરંતુ હવે ખેડૂતો સીધું વેચાણ કરી શકશે. ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં ગુજરાતની કેસર કેરીની ભારે માંગ છે, જેને પહોંચી વળવા માટે આધુનિક પેકિંગ અને એક્સપોર્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
મહેસાણામાં તૈયાર થયો આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ
ખેડૂતોની ઉપજને માત્ર કેરી પૂરતી સીમિત ન રાખતા, તેની ‘બાય પ્રોડક્ટ્સ’ (પેટા પેદાશો) બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ હેતુથી મહેસાણા ખાતે શાકભાજી અને અન્ય પ્રોડક્ટ્સ માટે એક વિશાળ આધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ નવા પ્લાન્ટની શરૂઆત થવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Mango ફેસ્ટિવલની મુખ્ય વિશેષતાઓ
આ આયોજન અંતર્ગત કેસર, હાફૂસ, બદામ અને તોતાપુરી જેવી વૈવિધ્યસભર કેરીઓની વિવિધ જાતોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવામાં આવશે. ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે ખેડૂતો સહકારી માળખા દ્વારા પોતાની પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત બનાવી શકશે, જેનાથી તેમને વધુ વળતર મળશે. આ ઉપરાંત, યોગ્ય પ્રોસેસિંગ અને પેકિંગની સુવિધા સાથે કેરીને સીધી જ વિદેશ મોકલવાની ડાયરેક્ટ એક્સપોર્ટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ માત્ર કેરીના વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ તે ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટેનો એક મોટો સેતુ સાબિત થશે.
આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવા
