પંજાબની લુધિયાણા કોર્ટ બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડની જર્મનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. માસ્ટર માઈન્ડનું નામ જસવિંદર સિંહ મુલતાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે લુધિયાણા અને દેશના અન્ય શહેરોમાં બ્લાસ્ટની યોજના ઘડનાર શીખ ફોર જસ્ટિસ (SFJ)નો સક્રિય સભ્ય છે. જસવિંદર સિંહ મુલતાનીની જર્મનીની એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
એજન્સીને શંકા છે કે મુલતાની લુધિયાણા સહિત ભારતના વિવિધ શહેરોમાં વિસ્ફોટો કરવાના કાવતરામાં સામેલ છે. જસવિંદર સિંહ મુલતાની પંજાબના હોશિયારપુરના મુકેરિયાના રહેવાસી છે અને તેનો જન્મ વર્ષ 1976માં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મુલતાનીના બે ભાઈ છે અને બંને જર્મનીમાં દુકાન ચલાવે છે. મુલતાની પાકિસ્તાન ગયો હતો કે નહીં, એજન્સીઓ પણ તેની પાસેથી આ અંગે પૂછપરછ કરી રહી છે.
ગત અઠવાડિયે લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. જર્મની પોલીસે ગયા અઠવાડિયે લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં સંડોવણી અને દિલ્હી અને મુંબઈને નિશાન બનાવવાનું કાવતરું ઘડવાના આરોપમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સભ્ય જસવિંદર સિંહ મુલતાનીની ધરપકડ કરી છે. મધ્ય જર્મનીના એર્ફર્ટથી સંઘીય પોલીસે મુલતાનીની ધરપકડ કરી હતી.