@કટાર લેખક – રીના બ્રહ્મભટ્ટની કલમથી….
દેશમાં કોરોનની ગતિ માંડ થોડી મંદ પડી છે, ત્યાં બીજી તરફ કોરોના મહામારી મુદ્દે શાંતિના શ્વાસ લઇ રહેલ દેશમાં કેટલાય મુદ્દા અશાંત બન્યા છે. તેમાં પણ ખેડૂતોનો મુદ્દો વધુ આક્રમક અને અશાંત બન્યો અને દિલ્હીમાં જે વરવા દ્વશ્યો જોવામાં આવ્યા તે ભારતનાં ઇતિહાસની કલંકીત ઘટનામાં નોંધાઇ ચૂક્યા છે. અને ક્યાંક અણગમતા બનાવોને પણ કિસાનના વેશમાં રહેલા લોકો અંજામ આપી રહ્યા છે. જેને કારણે ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કે, શું સાચે જ આ દેશનો ખેડૂત છે કે, જે તેના ખેતરમાં નીકળતા સાપને પણ કદી મારતો નથી, તો પોલીસ પર આ ક્યાં લોકો છે કે, જે હુમલો કરી રહ્યા છે? અને વાતમાં ક્યાંક દમ પણ છે. જો, કે આમપણ આંદોલનોનો ઇતિહાસ ખરડાયેલો જ રહ્યો છે..અને મોટાભાગના આંદોલનોમાં મૂળ મુદ્દા સાથે રાજકીય ખેલ પાડવાના પેતરા રચાતા જ હોય છે. તેથી દરેક આંદોલનો પડદા પાછળના ખેલ સમા હોય છે. તેની શુદ્ધતા નક્કી કરવી મુશ્કેલ છે.
ખેર અહીં વાત ખેડૂતો અને આંદોલનો ની નથી. કેમ કે, આ માટે દરરોજ પેપરો અને ટીવી ચેનલ્સના સમાચારોની હારમાળા સર્જાયે જ રાખે છે. પરંતુ આ મુદ્દો અહીં આ કાયદા બાદ બઝારમાં આવનાર ફેરફારો અને ખરીદ-વેચાણ પેટર્નનો જરૂર છે. કાયદામાં શું બદલાવ આવશે? કે કેમ? તે અંગે હાલ કઈ ન કહી શકાય. પરંતુ લોકો માટે જાણવા અને વિચારવાલાયક બાબત તે છે કે, તમારી રોજિંદી ચીજોની ખરીદીમાં ઓલરેડી ઘણો બદલાવ આવ્યો છે અને આગામી સમયમાં હજુપણ ધરમૂળ બદલાવ આવી શકે છે.
જી, હા ભારતમાં મોલ્સ ક્લચર વિકસ્યા બાદ આમપણ લોકોની ખરીદ શક્તિ વધી છે, અને માર્જનાલાઇઝ થઇ છે. જેમાં કેટલાકને તો તેનું તેવું વળગણ છે કે, તેઓ એક સિંગલ ચીજ લેવા પણ મોલમાં જ જાય. તો કેટલાય સસ્તી ગ્રોસરી કે શાક-ભાજીના કારણે ત્યાં જાય છે. પણ કહેવાનો આશય કે, ખરીદ-શક્તિમાં વધારો અને બદલાવ તો આવ્યો જ છે. અને વાત અહીં સુધી સીમિત હોત ત્યાં સુધી ઠીક હતું.
પરંતુ અસલ ડર જે છે તેની ધીમી પણ મક્કમ શરૂઆત ક્યાંકને ક્યાંક થતી જણાઈ રહી છે. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઓટોથી લઈને એરોસ્પેસ સેક્ટર સુધીના સેકટર સુધી પહોંચ ધરાવતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ) કંપની અલગ કન્ઝયુમર માર્કેટમાં બ્રાન્ડેડ ફ્રૂટ ઉતારવા જઈ રહી છે. કંપની આગલા મહિને જ જ ફ્રેશ ફ્રૂટ બ્રાન્ડ “સબોરો” લોન્ચ કરશે. અને આ માટે કંપનીએ ગોદરેજ નેચર્સ બાસ્કેટ અને હેરિટેજ ફૂડસ જેવા ફૂડ રિટેલર્સ સાથે વાત કરી છે. આ માટે કંપની રિલાયન્સ ફ્રેશ સાથે પણ વાત કરી રહી છે.
વધુમાં કંપની આ આખી પ્રોસેસમાં એગ્રી વેલ્યુ ચેઈન સાથે સસ્ટેનેબલ બિઝનેસ મોડલ ડેવલપ કરવાનું વિચારી રહી છે. તેમજ આ વેંચરને બ્રાન્ડેડ સફરજન થી શરુ કરવામાં આવશે તેવી માહિતી છે. તેમજ તેને હિમાચલના કિન્નોર થી મંગાવવામાં આવશે. અને એમએન્ડએમ આવતા મહીનાથી હૈદરાબાદથી 15 આઉટલેટ સાથે બ્રાન્ડેડ ફ્રૂટ વેચવાનું શરુ કરશે. ત્યારે આ અંગે કંપનીના સીઈઓ જણાવે છે કે, કન્ઝયુમર ક્વોલિટી પ્રોડક્ટસ ડિમાન્ડ કરે છે, પરંતુ લોકો ઈચ્છે છે કે તે ભરોસામંદ બ્રાન્ડ સાથે આવે. અને આ માટે તેઓ 5-10 % વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર છે. કંપનીના આ પ્લાનમાં ક્વોલિટી સૌથી મહત્વની છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે, હાલ ભારતનું ફ્રેશ ફ્રૂટ માર્કેટ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું છે. પરંતુ તેનો મોટો હિસ્સો અનઓર્ગેનાઇઝડ સેકટર પાસે છે. મતલબ કે, ખેડૂતો અને ખેડૂતોથી ફેરિયાઓ, લારીઓવાળા કે નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓ પાસે છે. ત્યારે હવે આ મોટી કંપનીઓની નજર આ ભરતીયોની ઇમ્યુનીટી વધારતા ફ્રૂટ્સ જેવા રોજિંદા વપરાશ પર પડી છે. આટલું મોટું 2 લાખ કરોડનું માર્કેટ અગર પેક્ડ રૂપાળા લેબલમાં આવી ધાર્યો નફો આપી જતો હોયતો શું વાંધો છે?
જો, કે અત્યાર સુધી અદાણી ગ્રુપનું સફરજન ફાર્મ પીક બ્રાન્ડ છે. અને તે સિવાય બીજી નાની-મોટી 2 કે 3 કંપનીઓ આ મેદાનમાં છે..બાકી મેદાન ખાલી છે. ત્યારે બીજી તરફ કોન્ટ્રાન્ટ ફાર્મિન્ગનો કાયદો આવ્યો છે. ત્યારે ખેડૂતો બાદ હવે લોકોએ પણ વિચારવાનું રહેશે. અહીં સરકારની નીતિઓને શકની નજરથી મૂલવવાનો કોઈ આશય નથી. પરંતુ એક કલ્પના કે શક છે કે જે આકાર લઈ રહ્યો છે , તેની આ વાત છે..
જેમાં બને કે, આગામી સમય માં એક સફરજન કે એક કેળું તમને સુંદર આકર્ષક રેપરમાં વીંટળાયેલું બઝારમાં કે મોલમાં જોવા મળે..પરંતુ આ રેપરીયા ફ્રૂટ્સનો ભાવ કેટલો હોઈ શકે? શું અત્યારની જેમ 70 કે 80 રૂપિયે કિલો સફરજન આપણને ભવિષ્યમાં ઉપલબ્ધ હશે? અગર એમએન્ડએમ જેવી કંપનીઓ મેદાનમાં આવશે. તો 5 કે 10 % ના માર્જીનના બદલે આ ફ્રૂટ્સ શું આપણને કિલો કે ડઝનને ભાવે મળશે? આની કોઈ ગેરંટી આપશે? જેમ ક્યારેક ચોખ્ખું ઘી ક્યારેક ગરીબોની થાળીનો સ્વાદ અને સેહત સુધારતું હતું અને આજે 500 રૂ.1 કિલો થતા પહોંચની બહાર ગયું છે.
કૈક તેમજ આ સફરજન પણ રખેને 500 કિલો એ થશે? તો શું મિડલ ક્લાસ ખાઈ શકશે? ગરીબોની તો અહીં વાત જ નથી કરી રહ્યા. પરંતુ આજે ફ્રૂટ્સ રેપરમાં આવવાની તૈયારીઓ શરુ થઈ છે, ત્યાં કાલે શાક-ભાજી પણ આમ જ આવશે? તો આ ડર… આ શક્યતા નો કોઈ પાસે જવાબ છે? આજે સમાજનો મિડલ ક્લાસ પણ રોગચાળાના ભયના લીધે સફરજન કે ઓરેન્જ જેવા ફ્રૂટ્સ તેના ફ્રીઝમાં રાખે છે. પણ અગર આ ફ્રૂટ્સ પણ મોંઘદાટ બન્યા તો? ગલીના નાકે ઉભી રહેતી લારી ગાયબ થશે તો? અને સામે છેડે આ ફેરિયાઓની પણ રોજગારીનું શું?
તો પ્લીઝ ભારતની આ બદલાતી વ્યવસ્થાને કોઈપણ ભોગે રોકો. એક જ હાથમાં સેન્ટ્રલાઇઝ થવું ન જોઈએ. અગર અમેરિકા કે બ્રિટનમાં આ વ્યવસ્થા છે તો છે…અહીં તે કામની નથી..અહીં મોલ્સ ક્લચર કપડાંની બ્રાન્ડ, પરફ્યુમ કે કોસ્મેટિક્સ સુધી ઠીક છે. પરંતુ ખાણી-પીણીમાં તે લોકો હાથ ન લગાવે ઈ ઇચ્છનીય છે..સરકારે આવશ્યક ચીજ-વસ્તુ ધારાની જેમ જ કેટલીક ચીજો ના વેચાણના સ્ટાન્ડર્ડ લોકહિતમાં બનાવવા જોઈશે..અગર આપણે ત્યાં સમાજવાદની છાંટ પણ જો અસ્તિત્વમાં હોય તો નાના લોકોની દરકાર થવી જોઈએ..અહીં નાના વેપારીઓને જ નહીં બલ્કે શાક-ભાજી અને ફ્રૂટ્સ જેવી ઈંમ્યુનિટી બુસ્ટર ચીજોની પહોંચ સામાન્યમાં સામાન્ય માણસ સુધી રહે તે આવશ્યક છે. આ મોટી કંપનીઓનું શું છે. તે ઓ તો કંઈપણ વેચીને કમાઈ લેશે. પણ રેપરીયો બિઝનેસ પગદંડો અહીં સુધી ન જમાવે તે ખ્યાલ રાખવો જોઈશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…