નવી દિલ્હી,
દેશભરમાં સંગઠીત ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ માટે આગામી બજેટ સત્રમાં મોટી રાહતના સમાચાર મળી શકે છે.
આગામી ૧ ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવી રહેલા બજેટ સત્રમાં “પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એમેંડમેંટ એક્ટ ૨૦૧૭” પાસ થાય તેવી શક્યતા છે. આ બિલ પાસ થયા બાદ કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી પર ટેક્સ છૂટ મર્યાદા વધીને ૨૦ લાખ રૂપિયા થઈ જવાની સંભાવના છે. તાજેતરમાં સંગઠિત ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને ૫ વર્ષ કે તેથી વધુ વર્ષની નોકરી પર ૧૦ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી ટેક્સ મુક્ત હોય છે. આ સુવિધા તેમને નોકરી છોડ્યા બાદ પેન્શનના સમયગાળા દરમિયાન મળે છે.
આ ક્ષેત્રના સંબંધિત સુત્રોના જણાવ્યા અનુસાર, પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી અમેંડમેંટ બિલ સંસદના આગામી સત્રમાં પાસ થાય તેવી શક્યતા છે. સંસદનુ બજેટ સત્ર ચાલુ મહિનાના અંતથી શરુ થવાનુ છે. સુત્રોએ જણાવ્યુ હતું કે, સરકાર સંગઠિત ક્ષેત્રે કામ કરતા કર્મચારી માટે પણ કેન્દ્રીય કર્મચારીઓની સમકક્ષ ગ્રેચ્યુટી ટેક્સ ફ્રીની મર્યાદા ૨૦ લાખ કરી શકે છે.
મહત્વનુ છે કે આ બિલ ગત મહિને યોજાયેલ સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં રજુ કરાયુ હતું. પરંતુ સમય ઓછો હોવાથી બિલ પાસ થઈ શક્યુ ન હતું. જયારે એકવાર આ બિલ સંસદમાં પાસ થઈ જાય તો ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા નક્કી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા કરવાની રહેશે નહી. આ બિલ અંતર્ગત સરકારને કેન્દ્રીય કાયદા અંતર્ગત માતૃત્વ પ્રસુતિ રજાની સમય મર્યાદા અને ગ્રેચ્યુટી નક્કી કરવા માટેની સત્તા મળી જશે. અત્યારે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ૧૯૭૨ લાગુ છે. જે અંતર્ગત ફેક્ટરીઓ, ખાણો, ઓઈલ કંપનીઓ, પોર્ટસ, રેલવે કંપની વગેરે સંસ્થામાં કામ કરતા કર્મચારી માટે ગ્રેચ્યુટી પેમેન્ટ લાગુ કરવામાં આવેલ છે.