ચમકતી દરેક વસ્તું સોનું નથી હોતું. એમ સારી વાતો કરનારા, પ્રેરણા આપનારા લોકોના જીવન પણ પ્રેરણાદાયી હોય તે જરૂરી નથી. આવો જ એક વ્યક્તિ છે સૌરીન ભંડારી. નામથી કદાચ તમે આ વ્યક્તિને નહીં ઓળખો. હા, એ લોકો ઓળખી જશે, જેમણે આ માણસના કહેવાથી રોકાણ કર્યુ અને પોતાની મરણમૂડી ગુમાવી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. લોકોને સફળતાની ચાવી નામથી મોટીવેશનલ કાર્યક્રમોમાં જ્ઞાન પીરસનારા સૌરીન ભંડારી નામના આ લુચ્ચા માણસે એવી કળા કરી કે સફળતાની ચાવી થઈ ગઈ લોક. અને ભાઈ સાહેબ થઈ ગયા છૂં.
હવે અમે તમને જણાવીશું કે, સફળતાની ચાવીના નામે લોકોના પૈસા લોક કરનારા સૌરીન ભંડારી આખરે છે કોણ. તેણે કઈ રીતે બે કંપનીઓ ઉભી કરી, કઈ રીતે લોકોને તેમાં રોકાણ કરવા સમજાવ્યા અને પોતાની ઠગલીલામાં તેણે કોને કોને સામેલ કર્યા.
એવું નથી કે સૌરીન ભંડારી સામે એક જ ફરિયાદ થઈ છે. ફરિયાદ તો અમદાવાદના કાલુપુર સ્ટેશનમાં પણ નોંધાઈ છે. પણ જ્યાં સુધીમાં ફરિયાદ દાખલ થઈ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હજુ એવા ઘણાં લોકો તો ફરિયાદ કરવા સામે પણ આવ્યા નથી કે જેમના પૈસા ડૂબ્યા છે. જો તમામ લોકો આગળ આવે તો કદાચ ઠગાઈનો આંકડો 15 કરોડ સુધી પહોંચી જાય તેવી વકી પણ સ્પષ્ટ છે.
સામાન્ય રીતે મોટીવેશનલ સ્પીકર તરીકે કામ કરતો સૌરીન ભંડારી પોતાના અંગત જીવનમાં પડદા પાછળ આ કૌભાંડ ચલાવતો હતો. તેવી જાણ કોઈને નહોતી. ખાસ વાત એ છે કે સૌરીન ભંડારીએ વર્ષોથી ડેઈલી કલેક્શન કરતા શખ્સોને પોતાની કંપનીમાં ઉચા પદ પર રાખી પૈસાની ઉધરાણી કરાવવાનું શરૂ કર્યુ હતું. અમદાવાદનાં પૂર્વ વિસ્તારનાં લોકો પાસે રોકાણ કરાવવા તેણે ગીતામંદિર એસટી બસસ્ટેન્ડની બિલ્ડીંગ હબ ટાવરમાં પણ ઓફિસ શરૂ કરી હતી. ભાડે રાખેલી આ ઓફિસમાં તે અવારનવાર આવતો હતો. અહિયા સ્ટાફ રાખીને તે દરરોજની આવેલી આવક પોતાની પાસે લઈ તેનો ઉપયોગ ક્યા કરતો હતો તેની કોઈને જાણ નથી.
સૌરીન ભંડારીએ ગરીબ માણસોના પૈસા લૂંટી અમદાવાદના મણિનગર વિસ્તારમાં અંદાજે દોઢ કરોડનો વૈભવી ફ્લેટ ખરીદ્યો હતો. મંતવ્ય ન્યૂઝની ટીમ આ ફ્લેટ પાસે પણ પહોંચી. જો કે અત્યારે અહીંયા કોઈ રહેતું નથી. મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી તો અમને જોવા મળ્યો ખાલી ફ્લેટ.
મંતવ્ય ન્યૂઝે સૌરીન ભંડારીનાં કૌભાંડનાં સમગ્ર મામલાને સમજવા માટે તેની અમદાવાદમાં 4 અલગ અલગ ઓફિસોએ મુલાકાત લીધી. સીજી રોડ પર એમ્પાયર ટાવરમાં આવેલી ઓફિસ કે જ્યાંથી તે પોતાનુ સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. ત્યા અત્યારે તાળા મારેલા જોવા મળ્યા હતા. આ ઓફિસમાં તેણે સૌથી પહેલા પોતાની મારૂતિ કૃપા એગ્રી પ્રોડ્યૂસર પ્રાઈવેટ લીમીટેડ નામથી કંપની શરૂ કરી હતી. અહીંથી જ તેણે પાસે રોકાણ કરાવડાવાનું શરૂ કરાવ્યુ હતુ.
સૌરીન ભંડારીએ અમદાવાદના ઈસનપુરના સરદાર કોમ્પલેક્ષમાં પણ ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસનું સંચાલન ધર્મેન્દ્ર નિર્મળ કરતો હતો. ઈસનપુર વિસ્તારમાં પણ સૌરીન ભંડારીએ અનેક લોકો પાસે રૂપિયાનું રોકાણ કરાવ્યુ અને તમામ રકમ લઈને ફરાર થઈ ગયો છે. ઓફિસમાં તાળા લાગેલા જોવા મળતા રોકાણકારો આક્રોશમાં છે. આ દુકાન સૌરીને ભાડે રાખી હતી. જેથી દુકાનના અસલી માલિકે ઓફિસ બહાર નોટિસ લગાડવાની ફરજ પડી કે જેથી લોકોના રોષનો ભોગ તેમની દુકાન ન બને.
મંતવ્ય ન્યૂઝને જાણવા મળ્યું કે આ ફ્લેટ ખરીદવા માટે સૌરીન ભંડારીએ બેંક પાસેથી લોન લીધી હતી. જો કે લોનના પૈસા ન ચૂકવી શકતા બેંકે ફ્લેટમાં નોટિસ લગાવી છે. અમને આ શ્યામ સાંઈ ફ્લેટનો એક સિક્યોરિટી ગાર્ડ મળ્યો કે જેણે છેલ્લી વખતે સૌરીન ભંડારીને જોયો હતો. અમે તેની પાસેથી જાણવવા મળ્યું કે કેવી રીતે રફૂચક્કર થઇ ગયો મોટીવેશનલ સ્પીકર સૌરીન ભંડારી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…