પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નેતા અને સાંસદ અયાઝ સાદિક એ ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને લઇને કહ્યુ હતુ કે, પાકિસ્તાને ભારતનાં હુમલાનાં ડરથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડ્યો હતો. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર હવે આ મામલે અયાઝ સાદિક સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ પ્રધાન શિબલી ફરાઝે શુક્રવારે કહ્યું હતું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નેતા અયાઝ સાદિકનું નિવેદન માફીથી પરે છે. હવે કાયદો તેમની વિરુદ્ધ કામ કરશે. તેમના ગુના માટે કોઈ માફી નથી. પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ પ્રધાન શિબલી ફરાજે ટ્વીટ કર્યું હતું કે, “અયાઝ સાદિકની ટિપ્પણી માફીની બહારની છે. હવે કાયદો તેનું કામ કરશે. અયાઝ સાદિક અને તેના અનુયાયીઓને સજા થવી જોઈએ… કારણ કે તેઓએ દેશને નબળો પાડ્યો છે. એક એવો ગુનો કર્યો છે જેમાં માફી ન હોઇ શકે.
ઈમરાન ખાનનાં મંત્રી શિબલી ફરાજે ધમકીના સૂરમાં આ કહ્યું હતુ. તેમણે કહ્યું છે કે, અયાઝ સાદિકની જે ભૂલ થઈ છે તેના માટે તેમને માફ કરી શકાશે નહીં અને તેમને સજા કરવામાં આવશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ દુનીયા ટીવીનાં અનુસાર, લાહોરનાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પીએમએલ-એનનાં નેતા અયાઝ સાદિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકાર તરફથી મળેલા પ્રતિસાદ બાદ અયાઝ સાદિકે આ ટિપ્પણી બદલ માફી માંગવી પડી છે.