રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર પિતા-પુત્રની બેવડી હત્યામાં પકડાયા બાદ 8 દિવસના પેરોલ મેળવી પોણા ત્રણ વર્ષથી નાસી છૂટેલા કુખ્યાત શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે પિસ્તોલ અને છ કાર્ટીસ સાથે દબોચી લઇ 7 દિવસનાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે
રાજકોટ શહેરનાં રૈયા રોડ ઉપર નહેરુનગરમાં 2015માં ઇલ્યાસખાન પઠાણ અને તેના પુત્રની છરીનાં ઘા ઝીકી બેવડી હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયેલ અને 22 જૂન 2016માં દીકરીની ફી ભરવાના મુદ્દા હેઠળ 8 દિવસનાં પેરોલ મેળવી ભાગી ગયેલ કુખ્યાત સાજીદ હુસેનભાઇ કચરા નામના ઘાંચી શખ્સને કોઈપણ ભોગે પકડી પાડવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા અને એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી પી ઉનડકટ અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની બાતમી આધારે પીએસઆઇ વી એ પરમાર, જગમાલભાઇ ખટાણા, મયુરભાઈ પટેલ, ભરતભાઈ વનાણી, સંતોષભાઈ મોરી, સંજયભાઈ રૂપાપરા, મુકેશભાઈ ડામોર, અમરદીપસિંહ વાઘેલા સહિતનાં સ્ટાફે નહેરુનગરમાં વોચ ગોઠવી સાજીદ કચરાને દબોચી લીધો હતો તેની જડતી લેતા તેની પાસેથી બે પિસ્તોલ અને છ કાર્ટીસ મળી આવતા કબ્જે કર્યા હતા આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા એસીપી સરવૈયાએ જણાવ્યું હતું કે અગાઉ સાજીદ પ્રેમનગરમાં એક હત્યામાં અને મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે હથિયાર પોતે સ્વબચાવ માટે રાખ્યા હોવાની કબૂલાત આપતા હથિયારો કોની પાસેથી લાવ્યો તે જાણવા 7 દિવસનાં રિમાન્ડં મેળવવા તજવીજ હાથ ધરી છે પોતે ભાવનગર અને મુંબઈ રહેતો હોવાનું અને ક્યારેક ક્યારેક રાજકોટ રાત્રીનાં સમયે આંટો મારવા આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.