મુઝફ્ફરપુર,
આજથી લગભગ ત્રણ દિવસ અગાઉ બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૪૦ છોકરીઓ સાથે રેપ થયા હોવાની વધુ એક ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ પીડિતાએ માહિતી આપી હતી કે યૌન શોષણ બાદ એક છોકરીના મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો.
બીજી બાજુ આ ઘટનાને લઈ વિરોધી પક્ષોએ પણ મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજીનામું આપવા અને CBIની તપાસ કરાવવા માટે માટે માંગ કરી હતી. ત્યારે હવે CM નીતિશ કુમારે આ ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપી છે.
મહત્વનું છે કે, પોલીસ દ્વારા આ બાબતે પૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં 10 આરોપીને પકડવામાં આવ્યા છે.દોષીઓમાં શેલ્ટર હોમના કાર્યકર્તા બ્રજેશ ઠાકુર પણ શામેલ છે.
વિપક્ષોએ લગાવ્યા આ આરોપ
વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, આરોપીઓને હજી સુધી કેમ રિમાન્ડ પર લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત આરોપ લગાવ્યા હતા કે, સરકાર આરોપીઓને બચાવી રહી છે અને તપાસ યોગ્ય રીતે થવા દેતી નથી.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૨૯ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું નથી.