નવી દિલ્હી,
ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે.
દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ હવે બુધવારે આલોક કુમાર વર્માએ CBIના ડાયરેક્ટર પદ પર પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. જો કે એક સપ્તાહ સુધી તેઓ કોઈ નીતિગત નિર્ણય લઇ શકશે નહિ.
બુધવારે નાગેશ્વર રાવે આલોક વર્માને CBIના હેડક્વાર્ટરમાં રિસીવ કર્યા હતા. નોધનીય છે કે, વર્માની ગેરહાજરીમાં નાગેશ્વર રાવ CBIના વચગાળાના ડાયરેક્ટર હતા.
સુપ્રીમ કોર્ટે CVCનો નિર્ણય કર્યો રદ્દ
અ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો હતો. આ નિર્ણય બાદ હવે આલોક વર્મા CBIના ચીફ બની રહેશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “સરકાર પાસે કાયદા હેઠળ CBIના ચીફ આલોક વર્માને રજા પર મોકલવાનો કોઈ નિર્ણય નથી. આ નિર્ણય માત્ર સિલેક્ટ કમિટી પાસે જ છે. આ હાઈ પાવર કમિટીમાં પ્રધાનમંત્રી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લોકસભાના નેતા વિપક્ષ હશે”.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, આલોક વર્માને CBIના ચીફ બનાવ્યા બાદ પણ તેઓ કોઈ પણ નીતિગત નિર્ણય લઇ શકશે નહિ. આગળ પણ આ પ્રકારના મોટા મામલાઓમાં ઉચ્ચ સ્તરીય કમિટી જ નિર્ણય કરશે”.