ગુહાવટી / નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ હવે દેશની રાજકીય પાર્ટીઓના સમીકરણો પણ બદલાતા જોવા મળી રહ્યા છે. એક બાજુ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા દેશમાં NDAની સહયોગી પાર્ટીઓ સાથે ગઠબંધનની ફોર્મુલા નક્કી કરવામાં આવી રહી છે, ત્યારે આ વચ્ચે જ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને એક ઝટકો લાગ્યો છે.
હકીકતમાં, પૂર્વોત્તરના રાજ્ય આસમમાં વર્તમાન શાસક પક્ષ ભાજપમાંથી અસોમ ગણ પરિષદ (એજીપી)એ પોતાનો ટેકો પરત ખેંચી લીધો છે.
ગણ પરિષદ દ્વારા સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ મુદ્દે સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેચી લીધું છે. એજીપી ડેલિગેશનની કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથેની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન આસામના નાણા પ્રધાન અને ભાજપના નેતા હિમાન્તા બિસવા શર્માએ જણાવ્યું, “જો આ બિલ પસાર નહીં થાય તો આગામી પાંચ વર્ષમાં આસામમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે”.
બીજી બાજુ એજીપી પ્રમુખ અને પ્રધાન અતુલ બોરાએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લો પ્રયાસ કર્યો હતો કે કેન્દ્ર સરકાર આ બિલ પસાર ન કરે પણ રાજનાથ સિંહે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે સરકાર સુનિશ્ચિત કરશે કે આ બિલ લોકસભામાં પસાર થઇ જાય”.
આ ઉપરાંત એજીપી નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન પ્રફુલ્લકુમાર મહંતાએ કહ્યું હતું કે, “જો સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૬ લોકસભામાં પસાર થશે તો પક્ષ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લેશે”. આ સાથે જ હવે એજીપી દ્વારા પોતાના નિર્ણય પર અડગ રહેતા પોતાનું સમર્થન પાછું ખેચ્યું છે.
લોકસભાની ચુંટણીમાં શું પડશે અસર ?
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધન માટે આ નિર્ણય એક ઝટકા સમાન માનવામાં આવી રહ્યી છે, કારણ કે એનાથી આસામની ૪ લોકસભા બેઠક પર અસર પડી શકે છે.
જોવામાં આવે તો, વર્ષ ૨૦૧૪માં પૂરબ બહુમતી સાથે સત્તા પર બિરાજમાન થયેલી NDA ગઠબંધનની સરકાર બાદ અત્યારસુધીમાં ૧૩ સહયોગી પાર્ટીઓ એનડીએમાંથી બહાર નીકળી ગઈ છે.
આ પાર્ટીઓમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની પાર્ટી TDP (તેલુગુ દેશમ પાર્ટી), મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી રહી ચુકેલા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSP (રાષ્ટ્રીય લોક ક્ષમતા પાર્ટી) સહિતની અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.
આ જોતા હવે લોકસભાની ચૂંટણીમાં NDA ગઠબંધન માટે વધુ એકવાર સત્તા પર આવવા માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે. બીજી બાજુ હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ ભાજપ માટે અડચણ ઉભી કરી શકે છે.