નવી દિલ્હી,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે દેશભરમાં “સંપર્ક ફોર સમર્થન” નામના અભિયાન પર છે. “સંપર્ક ફોર સમર્થન” હેઠળ પૂર્વ આર્મી ચીફ જનરલ સુહાગ અને બાબા રામદેવ સહિતના વ્યક્તિઓને મળી ચુક્યા છે ત્યારે હવે બુધવારે તેઓ મુંબઈ પહોચવાના છે.
મુંબઈમાં આ અભિયાન હેઠળ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ ભારત રત્ન અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર, અભિનેત્રી માધુરી દીક્ષિત અને રતન તાતા સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ અંગે જણાવશે.
આ ઉપરાંત અમિત શાહ ભાજપથી નારાજ ચાલી રહેલી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરશે.
આ પહેલા ઉદ્ધવ ઠાકરે પોતાનો રોષ કરી ચુક્યા છે વ્યક્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી પાલઘર લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એકબીજા વિરુદ્ધ લડ્યા હતા. જો કે ત્યારબાદ પેટા ચૂંટણીમાં મળેલી પોતાની હાર બાદ ઉદ્ધવ ઠાકરે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપને કોઈ મિત્રની જરૂરત નથી તેમજ દેશભરમાં આ પાર્ટી લોકો પરથી વિશ્વાસ ગુમાવી રહી છે.
જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા જોવા મળી રહેલા મતભેદ વચ્ચે બંને પાર્ટીઓના શીર્ષ નેતાઓની પ્રથમ મુલાકાત હશે.
ભાજપના ૪૦૦૦ નેતાઓ સાધશે સંપર્ક
ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં “સંપર્ક ફોર સમર્થન” નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમિત શાહ અલગ-અલગ ક્ષેત્રોનની ટોચના ૨૫ લોકો સાથે મુલાકાત કરશે. જયારે પાર્ટીના તમામ કેન્દ્રીયમંત્રી, સાંસદ, ધારાસભ્યો મળીને ૪૦૦૦ નેતાઓ પોતાના પોતાના રાજ્યની પ્રખ્યાત ૨૫ વ્યક્તિઓ સાથે મુલાકાત કરવાના છે.
પાર્ટી દ્વારા ૧ લાખ લોકોને સંપર્ક સાધવાનું રખાયું છે લક્ષ્ય
મહત્વનું છે કે, આ અભિયાન હેઠળ ભાજપ દ્વારા એક લાખ લોકો સાથે મળવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યારે પાર્ટીના નેતાઓ આ હસ્તીઓને મળીને મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ અંગે જણાવશે તેમજ ૨૦૧૯માં આ લોકોને ભાજપને સમર્થન આપવા માટે અપીલ કરશે.
આ પહેલા અમિત શાહ પૂર્વ આર્મી ચીફ જનરલ દલવીર સિંહ સુહાગ, યોગગુરુ બાબા રામદેવ, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને જસ્ટિસ લહોટી સાથે મુલાકાત કરી ચુક્યા છે.