નવી દિલ્હી,
પાંચ રાજ્યોમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપનો સફાયો થયા બાદ હવે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ લાગી ગઈ છે અને મહાગઠબંધનને લઈ કવાયત હાથ ધરાઈ છે.
૨૦૧૯માં ભાજપની મોદી સરકારને હરાવવા માટે કરાઈ રહેલા મહાગઠબંધનની શરૂઆત બિહારથી થઇ રહી છે.
પ્રાપ્ત થઇ માહિતી મુજબ, RLSPના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહના NDAમાંથી છુટા પડ્યા બાદ હવે તેઓની મહાગઠબંધનમાં શામેલ થવાની સંભાવના છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી દ્વારા કુશવાહાના મહાગઠબંધનમાં શામેલ થવા અંગેની પૃષ્ટિ કરી છે.
જીતન રામ માંઝીએ જણાવ્યું હતું કે, “ગુરુવાર સાંજે થનારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થઇ શકે છે અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ થઇ શકે છે”.
મહાગઠબંધનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અંગે તેઓએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માટે લાયક છે, પરંતુ તમામ દળ સાથે બેસીને નક્કી કરશે.
લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે કહ્યું, “તમામ વાતો સાંજ સુધી ક્લિયર થઇ જશે. ઉપેન્દ્ર કુશવાહા પણ દેશનું સારું ઈચ્છે છે, આ જ કારણ છે કે આ માટે તેઓને બોલાવવામાં આવ્યા છે”.
સૂત્રોનું માનીએ તો બિહારની ૪૦ લોકસભા બેઠકો માટે ફોર્મુલા નક્કી માનવામાં આવી રહ્યો છે. આ ૪૦ બેઠકોમાં કોંગ્રેસને ૮-૧૨, RJDને ૧૮-૨૦, RLSPને ૪-૫, HAMને ૧-૨ બેઠક અને CPM-CPIને ૧-૧ સીટ મળી શકે છે.
આ ઉપરાંત શરદ યાદવની લોજ્દ પાર્ટીને ૧-૨ બેઠક મળી શકે છે.