બે ટર્મ સુધી રાજ્યસભાના સાંસદ રહેલા ચંદન મિત્રા ભાજપ છોડવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધ પાયોનિયરના એડિટર અને મેનેજીંગ ડિરેક્ટર ચંદન મિત્રા એ રાજીનામુ આપી દીધું છે. જોકે, આ બાબતે હજુ સુધી અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી. ચંદન મિત્રા એ પણ કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે એમને મિત્રાના રાજીનામાં વિષે ખબર છે પરંતુ એમને રાજીનામાં ની વિષયવસ્તુ ખબર નથી.
મિત્રા ઓગસ્ટ 2003 થી 2009 સુધી રાજ્યસભાના નામાંકિત સભ્ય હતા. જૂન 2010માં મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના સભ્ય પદે ચૂંટવામાં આવ્યા હતા. 2016માં એમનો કાર્યકાળ પૂરો થયો હતો.
મિત્રા દિલ્હી વિસ્તારમાં ભાજપનો અગ્રણી ચહેરો હતા, તેમજ કેટલાક નિર્ણાયક મુદ્દાઓ પર પાર્ટીનો બચાવ પક્ષ પણ રાખતા હતા. જોકે, મિત્રાને પાર્ટીના વરિષ્ઠ નેતા અને અમિત શાહ–નરેન્દ્ર મોદીની નેતાગીરીથી હાંસિયામાં ધકેલી ગયેલા એલ કે અડવાણીના ખાસ માનવામાં આવતા હતા.
ભાજપના એક નેતાએ જણાવ્યું કે નવી નેતાગીરી મિત્રાને અડવાણી કેમ્પના મહત્વના સભ્યના રૂપમાં જોતા હતા. મિત્રાએ થોડા સમયથી પાર્ટીની ટીકા કરવાનું શરુ કર્યું હતું. ભાજપ જયારે કૈરાના પેટા ચૂંટણીમાં હારી ગયું ત્યારે મિત્રાએ ટિપ્પણી કરી હતી કે પાર્ટીએ શેરડીના ખેડૂતોના મુદ્દાઓ પાર ધ્યાન આપ્યું નહતું. પેટા ચૂંટણીની હારને ગંભીર પીછેહટ ગણાવતા મિત્રાએ જણાવ્યું કે 2019 લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષો હાથ મિલાવી લેશે તો ભાજપને જીતવું ભારે પડી શકે છે.