લખનઉ,
૨૦૧૯માં યોજાનારી લોક્સભાની ચુંટણી પહેલા હવે વધુ એકવાર રામ મંદિરના નિર્માણ મુદ્દે ચર્ચાઓનો નવો દોર ચાલુ થયો છે. એક બાજુ જ્યાં સંતોનું આંદોલન, અધ્યાદેશની માંગ તેમજ સરકારને આ મુદ્દે એક કાયદો બનાવવા સહિતના અનેક સંકેતો સામે આવી રહ્યા છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, “દિવાળી બાદ રામ મંદિરનું નિર્માણ શરુ થઇ જશે”.
શનિવારે રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું, “ભગવાન રામના નામ પર એક દીવો પ્રગટાવવામાં આવે, ત્યારબાદ આ જલ્દીથી જ કામ શરુ થઇ જશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ પણ દાવો કર્યો હતો કે, દિવાળી સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના મુદ્દે ખુશખબરી આપશે”.
આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, “યોગી જી એક મુખ્યમંત્રીની સાથે સાથે એક મોટા સંત છે. નિશ્ચિતપણે તેઓએ અયોધ્યાના રામ મંદિર મુદ્દે એક યોજના બનાવી છે. દિવાળીનો તહેવાર આવવા દો, ખુશખબરી માટે પ્રતીક્ષા કરો. મુખ્યમંત્રીના હાથે જ આ યોજના સામે આવશે તો યોગ્ય રહેશે”.
આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી : UP ઉપ-મુખ્યમંત્રી
મહત્વનું છે કે, શનિવારે ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, “આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે, જેથી અમે આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી”.
તેઓએ વધુમાં જણાવ્યું, “રામ મંદિરના નિર્માણ અંગે કઈ કરી શકતા નથી, પરંતુ સરકાર અયોધ્યામાં રામલલાનું સ્ટેચ્યુ ઉભું કરવા માટે કોઈ રોકી શકતું નથી. પરંતુ જો કોઈ રોકશે તો અમે જોઈ લઈશું”.