દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા ધમાસાણના મુદ્દે રાકેશ અસ્થાનાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા શુક્રવારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત રાકેશ અસ્થાના તેમજ DSP દેવેન્દ્ર કુમારની FIR રદ્દ કરવાની માંગને પણ દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.
સાથે સાથે કોર્ટ દ્વારા સીબીઆઈને બંને અધિકારીઓ વિરુધ ૧૦ સપ્તાહમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ વાતમાં કોઈ શક નથી કે અધિકારીઓ વિરુધ FIR દાખલ કરવી એ ચિંતાનો વિષય અને તનાવનું કારણ હશે. FIRમાં જે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ જરૂરી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત થઇ જતો નથી ત્યાં સુધી કાયદાની નજરમાં તે નિર્દોષ છે.
શું છે આ મામલો ?
હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં.
અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં હતાં, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી.